Antarrashtriya Pushtimargiya Vaishnav Parishad - Gujarat Pradesh

  • Home
  • India
  • Vadodara
  • Antarrashtriya Pushtimargiya Vaishnav Parishad - Gujarat Pradesh

Antarrashtriya Pushtimargiya Vaishnav Parishad - Gujarat Pradesh APVP is 116 years old organization for promoting Pushtimarg across the globe.

આજે કસુંબા છઠ્ઠનો ઉત્સવ  આપ સર્વે વૈષ્ણવો ને કસુંબા છઠના ઉત્સવની વધાઈ. આજે શ્રી ઠાકોરજીને કસુંબલ એટલે કે લાલ રંગનો સાજ અ...
24/06/2023

આજે કસુંબા છઠ્ઠનો ઉત્સવ
આપ સર્વે વૈષ્ણવો ને કસુંબા છઠના ઉત્સવની વધાઈ. આજે શ્રી ઠાકોરજીને કસુંબલ એટલે કે લાલ રંગનો સાજ અને વસ્ત્ર ધરવામાં આવે છે. આજના દિવસે શ્રીગુસાંઈજીની સાથે સાથે શ્રીકૃષ્ણદાસ અધિકારીજીને યાદ કરીને વંદન કરીએ. આજની એકવીસમી સદીમાં શ્રીકૃષ્ણદાસ અધિકારી જેવા અધિકારીની ખુબ જ ખોટ વર્તાઈ રહી છે.
આજના દિવસે શ્રીગુસાંઈજીનો વિરહ સમાપ્ત થયો. શ્રી કૃષ્ણદાસ અધિકારીએ આપશ્રીને શ્રીનાથજીની સેવામાંથી દુર કર્યા હતા તે દિવસ પોષ સુદ છઠનો હતો. આ વિરહતાપના દિવસો શ્રીગુસાંઈજીએ ચંદ્ર સરોવર પર બેસી વિરહમાં વ્યતીત કર્યા હતા. આ દિવસોમાં આપશ્રી દુરથી શ્રીજીબાવાના દર્શન કરતા. પછી જયારે કૃષ્ણદાસજીને જેલમાં પૂર્યા. આપશ્રીને જયારે ખબર પડી કે કૃષ્ણદાસને જેલમાં પૂર્યા છે ત્યારે ખુબ જ દુખી થયા અને આજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણદાસને જેલમાંથી છોડવામાં નહી આવે ત્યાં સુધી હું જળ ગ્રહણ નહી કરું. શ્રીકૃષ્ણદાસજી શ્રીમહાપ્રભુજીના સેવક છે અને શ્રીનાથજીના અધિકારી છે એટલે એમની સાથે આવો દુર્વ્યવહાર ના કરાય. પછી કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી મુક્ત કર્યા. ત્યારબાદ શ્રીગુંસાઈજી સેવામાં પાછા પધાર્યા. તે આ કસુંબા છઠનો દિવસ.
આ આખો પ્રસંગ આજે આપણે માણીએ.
"કૃપાનાથ ! શ્રીનાથજી આજ્ઞા કરે છે કે, આજે હું ‘રાજભોગ’ આરોગ્યો નથી", માટે ભીતરીયાએ બેઠકમાં આવી શ્રીગુસાંઈજીના ચરણ દબાવી જગાડીને કહ્યું -
“પ્રાણપ્યારે ‘રાજભોગ’ આરોગ્યા નથી ? આજ આમ કેમ બન્યું ? તમને ખબર નથી ? તમારો તો કાંઈ અપરાધ થયો નથીને ?” આપશ્રીએ સફાળા જાગીને પૂછ્યું.
“ના કૃપાનાથ ! અમને તો કાંઈજ ખબર નથી. હંમેશની માફક આજ પણ ‘રાજભોગ’ ધર્યો હતો. કંઈ ભૂલચૂક થયેલી તો દેખાતી નથી".
“જાઓ, ઝટ અપરસમાં નાહી જલ્દી થાય તેવી સામગ્રી સિદ્ધ કરો; જરા પણ વિલંબ કરશો નહિ હું તુરત જ આવું છું.”
“જેવી રાજની આજ્ઞા.”
તરત જ ભીતરીય અપરસમાં નાહી રસોઈ ઘરમાં ગય. ત્યારબાદ આપશ્રી પણ તિલક-મુદ્રા ધારણ કરી પધાર્યા. જલ્દી સિદ્ધ થાય તે માટે ભીતરીયાએ વડીભાતની સામગ્રી સિદ્ધ કરી. તેનો ડબરો લઈ આપશ્રી શ્રીનાથજીને આરોગાવવા નિજ મંદિરમાં પધાર્યા અને ભોગ ધર્યો.
ભોગ સરાવી બીડાં આરોગાવી કપોલપ્રદેશ પર સુકોમળ હસ્ત ફેરવતાં પૂછ્યું; “બાબા, આજ આમ કેમ રાજભોગ ન આરોગ્યા ? અમારો શું અપરાધ થયો ? કૃપા કરીને જણાવશો ?”
શ્રીનાથજીએ કહ્યું “આજ મારા રાજભોગ ઉપર ગંગા ક્ષત્રાણીની ર્દષ્ટિ પડી હતી. આથી હું રાજભોગ આરોગ્યો ન હોવાથી ભીતરીયા દ્વારા આપને જાણ કરાવી.”
આપશ્રી તરત વડીભાતનો ડબરો લઈ મંગલ કરી બહાર પધાર્યા. જ્યારે આપશ્રી બેઠકમાં પધારતા હતા ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ પૂછ્યું “અહો ! આજ શ્રીનાથજી વડીભાત બહુ પ્રસન્નતાથી આરોગ્યા જણાય છે. કૃપાનાથ ! અત્યારે ફરીથી ભોગ ધરવાનું કેમ થયું ? કંઈ સમજ પડતી નથી !”
શ્રીનાથજીને પરિશ્રમ પડવાથી આપશ્રીના મનમાં કૃષ્ણદાસ પ્રતિ રોષની લાગણી પ્રગટી હતી. મુખાકૃતી ઉપર તે સ્પષ્ટ જણાઈ આવતી હતી. આપશ્રીએ કહ્યું “તમારે લીધે જ આજે શ્રીનાથજી ભૂખ્યા રહ્યા ! અરે ! આપને અત્યંત પરિશ્રમ પડ્યો !”
“ મારે લીધે ? આપ આ શું કહો છો ? કૃષ્ણદાસ આશ્ચર્યપૂર્વક સહસા બોલી ઊઠ્યા.
શ્રીગુસાંઈજીએ પણ રોષભરી વાણી ઉચ્ચારીઃ “આ તમારાં ગંગા ક્ષત્રાણીનો પ્રતાપ. હું ઘણીવાર ‘ના’ કહેતો છતાં તમારી સંમતિથી તે મંદિરમાં જ્યાં ત્યાં ફરતાં. પછી આવું જ થાયને ! શ્રીનાથજીના રાજભોગ ઉપર તેમની ર્દષ્ટિ પડી અને સુકુમાર શ્રીનાથજી આજે ભૂખ્યા રહ્યા. કેટલો અનર્થ ! કેવો અપરાધ !”
આમ કહી આપશ્રી તો બેઠકમાં પધાર્યા. પરંતુ કૃષ્ણદાસજીને તો અધિકારી પદનો ગર્વ થયો હતો. શ્રીગુસાંઈજીનાં વચનો તેમના હદય સોંસરવા નીકળી ગયાં. તેમનાં રૂંવાડે રૂંવાડે ક્રોધની જવાલા ફરી વળી. તેમને થયું કે, “શું શ્રીગુસાંઈજી મને શ્રીનાથજીના અધિકારીને આ પ્રમાણે બોલે ? અત્યારે જ શ્રીપુરૂષોત્તમજીને શ્રીનાથજીની સેવા હસ્તગત કરવા વિનંતી કરવા જાઉં.
આમ વિચાર કરતાં તેમને યાદ આવ્યું કે, પિતા પછી માલિકી જ્યેષ્ઠ પુત્રની હોય છે અને જયેષ્ઠ પુત્ર પછી તેની માલિકી તેનાં જયેષ્ઠ પુત્રની હોય છે. માટે જ શ્રીમહાપ્રભુજી પછી ખરા માલિક તો શ્રીગોપીનાથજી અને શ્રીગોપીનાથજી પછી તેમના લાલજી શ્રીપુરુષોત્તમજી છે. શ્રીગુસાંઈજી તો શ્રીગોપીનાથજીના લઘુ ભ્રાતા છે માટે શ્રીનાથજીની સેવાના ખરા હક્કદાર તે નથી.
તુરત જ કૃષ્ણદાસ શ્રીપુરૂષોત્તમજી પાસે ગયા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સન્મુખમાં બેઠાં. શ્રીપુરૂષોત્તમજીએ આવકાર આપતાં કહ્યું “આવો, શ્રીનાથજીના અધિકારીજી, આમ એકાએક કેમ આવવું થયંી ?” આગળ પાછળની વાતો કર્યા પછી કૃષ્ણદાસે બે હાથ જોડી કહ્યું એક વિનંતી કરવા આવ્યો છું. શ્રીનાથજીના ખરા હક્કદાર તો આપશ્રી છો અને શ્રીગુસાંઈજી સેવા કરે છે. ત્યારે આપશ્રી સેવા કરવા પધારો તો શું ખોટું ? ન્યાયી વાત છે કે, હક્કદાર તો આપ જ છો. એમાં કોણ ના પાડી શકવાનું હતું ? જો આપશ્રીની આજ્ઞા હોય તો અત્યારેજ પ્રબંધ કરૂં.
શ્રીપુરૂષોત્તમજીએ કહ્યું “અરે, કૃષ્ણદાસજી ! તમારી બુદ્ધિ ફરી તો નથી ગઈ ? તમારૂં મગજ બહેર મારી ગયું લાગે છે ! તમે આ શું બોલો છો ? કાકાજી જે કરે છે તે વ્યાજબી જ છે; મને તેમાં જ આનંદ રહેલો છે. તમને આવી બુદ્ધિ કોણે સૂઝાડી ?”
“કૃપાનાથ ! મારૂં કહ્યું માનો. શ્રીનાથજીની સેવાનો અલભ્ય લાભ શા માટે જતો કરો છો ?”કૃષ્ણદાસે ચતુરાઈ ભરેલી અનેક દલીલો કરવાથી અને પ્રલોભનો બતાવવાથી ભગવદિચ્છાએ શ્રી પુરૂષોત્તમજીનું મન પણ બદલ્યું, અને તેમણે સંમતિ આપી. કૃષ્ણદાસે શ્રીપ્રભુચરણ સેવામાં પધારે તે પહેલાં મંદિરે જઈ મંદિરનો કબજા લેવા વિનંતી કરી. ત્યારબાદ તે પોતાના મુકામે ગયા. શ્રીપ્રભુચરણના આગમન પહેલાં શ્રી પુરૂષોત્તમજી ત્યાં પધાર્યા. અને આખા મંદિરનો કબજો લઈ લીધો.
જ્યારે શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ ત્યાં પધારતાં હતા ત્યારે રસ્તામાં દંડોતી શિલા આગળ કૃષ્ણદાસે તેમને રોક્યા, અને કહ્યું "અહીંથી જ પાછા ફરો. કારણ હવે આપ સેવામાં પધારશો નહિ. સેવાના ખરા હક્કદાર તો શ્રી પુરૂષોત્તમજી છે. અને તેઓશ્રી મંદિરમાં શ્રીનાથજીની સેવા માટે પધાર્યા છે, તેથી આપ હવે પધારશો નહિ".
આપશ્રી ભગવદિચ્છા જાણીને, ગૃહકલેશ વધારવો ઊચિત ન લાગતાં, તરતજ પાછા પધાર્યા.
હવે આપશ્રી ચંદ્ર સરોવર પર પારાસોલીમાં વિરહાવસ્થામાં રહેવા લાગ્યા. શ્રીનાથજી વિના આપને ચેન પડતું નથી. પણ શું કરે ? “બલીયસી કેવલમ્ ઈશ્વરેચ્છા” સમજી ત્યાં બિરાજવા લાગ્યા. આપશ્રી અન્નનો પણ ત્યાગ કરી ફલાહાર ઉપર રહેવા લાગ્યા. પોતાના પ્રાણપ્યારા પ્રભુ સિવાય ભોજન પણ કેમ લેવાય ? આ સમયમાં આપશ્રી વિરહમાં વિજ્ઞપ્તિઓ લખતા હતા. ફૂલની માળા ગુંથી શ્રીનાથજીના મુખિયાજી રામદાસ આપનાં દર્શને આવતા ત્યારે માળા અને વિજ્ઞપ્તિ પત્રો તેમને આપતા. રામદાસજી માળા શ્રીનાથજીને ધરતા અને વિજ્ઞપ્તિ પત્રો શ્રીનાથજીને આપતા. આ વાંચી શ્રી ગોવર્દ્ધનધર પોતાની પાનની પીકથી પાન ઉપર પ્રત્યુત્તર લખી આપતા. આ પ્રત્યુત્તર વાંચી શ્રીગુસાંઈજીને શાંતિ થતી. ત્યારબાદ તે પ્રત્યુત્તર જળમાં ઘોળી આપશ્રી પી જતા. શ્રીનાથજી આપશ્રીને ચંદ્ર સરોવર તરફ પડતી બારીમાંથી દર્શન આપતા. આપના નયન-મનોહર સ્વરૂપનાં દર્શન કરી આપશ્રી પ્રાણ ટકાવી રાખતા.
કૃષ્ણદાસને કોઈ ચુગલીખોરે આવી કહ્યું “અધિકારીજી, મુખિયાજી તો રોજ શ્રીગુસાંઈજીનાં દર્શન કરવા જાય છે અને ફુલની માળા શ્રીગુસાંઈજી આપે છે, તે શ્રીનાથજીને ધરાવે છે. શ્રીનાથજી શ્રીગુંસાઈજીને ચંદ્રસરોવર પર પડતી બારીમાંથી દર્શન પણ આપે છે. ખાત્રી કરવી હોય તો કરી જોજો.”
આથી કૃષ્ણદાસનો પિત્તો ઊછળ્યો. તરત રામદાસને બોલાવ્યા અને ધમકાવી ગુસ્સેથી કહેવા લાગ્યાઃ “રામદાસ, તમે શ્રીગુસાંઈજી પાસે જવાનું બંધ કરો. તેમની પાસે શા માટે જાઓ છો ? આમ કરશો તો મારે ને તમારે નહિ બને.”
પરંતુ રામદાજીએ નિડરતાથી કહ્યું "કૃષ્ણદાસજી, સાંભળો. હું તો આપશ્રીની પાસે જતો હતો, જઉં છું અને જઈશ પણ ખરો. મને તેમની પાસે ગયા વિના ચેન નહિ પડે. તમને ન ગમે તો રજા આપો.”
શ્રીનાથજીની સેવાને લાયક કોઈ સારા માણસો મળતા ન હતા. આથી કૃષ્ણદાસ નિરૂપાયે રામદાસને કંઈ કહી શક્યા નહિ. છેવટે મંદિરની ચંદ્ર સરોવર પર પડતી બારી બંધ કરાવી દીધી. જેથી શ્રીનાથજી શ્રીગુસાંઈજીને દર્શન ન આપી શકે. કૃષ્ણદાસ તો શ્રીગુસાંઈજીને જેમ બને તેમ શ્રીનાથજીથી વધારે ને વધારે વિયોગ કરાવતા હતા.
શ્રીગુસાંઈજીને શ્રીનાથજીના હવે એક ક્ષણ પણ દર્શન થઈ શકતાં ન હતાં. તેથી આપશ્રીનું શરીર વધુને વધુ કૃશ બનતું ગયું. બધા વૈષ્ણવો દર્શને આવતા અને આપશ્રીનું સ્વરૂપ જોઈ વધુને વધુ દુઃખી થતા; પરંતુ શું કરે ? કૃષ્ણદાસને તો કહી શકાય તેમ હતું નહિ. બીજો કોઈ ઉપાય ન હતો. જ્યાં પ્રભુની જ ઈચ્છા તેમને વિપ્રયોગનો અનુભવ કરાવવાની હોય, ત્યાં કોઈનું શું ચાલે ?
આ રીતે દિવસો વ્યતિત થવા લાગ્યા.
આ વાતને છ મહિના પુરા થવામાં થોડા દિવસ બાકી હતા. એક દિવસ રાજા બિરબલ શ્રીનાથજીના દર્શનાર્થે ગિરિરાજ પર આવ્યો. શ્રીનાથજીનાં દર્શન કરવા ગયો ત્યારે રાજભાગનો સમય હતો. કુંભનદાસજી કીર્તન કરતાં હતાં. મૃદંગ, ઝાંઝ વગેરે વાદ્યો વાગતાં હતાં, અને શ્રીપુરૂષોત્તમજી આરતિ ઉતારતા હતા.
દર્શન કરી બેઠકમાં ગયા તો ત્યાં શ્રી ગિરધરજી ઉદાસીન ચહેરે બિરાજતા હતા. રાજા બિરબલે તેમને પૂછ્યું કે,“શ્રીગુસાંઈજી ક્યાં બિરાજે છે?” શ્રીગિરધરજીને ગળે ડુમો આવી ગયો. થોડીવાર પછી કહ્યું “કૃષ્ણદાસ અધિકારીએ સેવામાંથી તેમને દુર કર્યા છે. અને કહે છે કે, શ્રીનાથજીના હક્કદાર તો શ્રી પુરૂષોત્તમજી છે. તેથી તેઓ ચંદ્ર સરોવર પર બિરાજે છે !”
“શું કૃષ્ણદાસ અધિકારીએ તેમને મંદિરમાંથી દુર કર્યા છે ? હમણાં જ હું મથુરા જઈ સૈનિકોને મોકલી કૃષ્ણદાસને પકડી મંગાવું છું. તમે તે વખતે શ્રીગુસાંઈજીને સેવામાં જવાનું કહેજો.”તરત જ બિરબલ દંડવત પ્રણામ કરી મારતે ઘોડે મથુરા ગયો.
ત્યાં જઈ તુરત ફોઝદારને હુકમ કર્યો:“જાઓ, ગિરિરાજ ઉપર જઈ કૃષ્ણદાસ અધિકારીને પકડી, મારી પાસે લાવો.”ફોઝદાર વીસ સૈનિકોની ટુકડી લઈ ગિરિરાજ આવ્યો. કૃષ્ણદાસ અધિકારી ક્યાં છે, તે પુછી તેમની પાસે જઈ કહ્યું “ચાલો, રાજા બિરબલનો હુકમ છે, તેથી તમને મથુરા લઈ જવાના છે.”કૃષ્ણદાસને બંદીવાન બનાવી મથુરા લઈ ગયા.
આ વાતની ખબર શ્રીગિરધરજીને પડતાં તુરત શ્રીગુસાંઈજી પાસે જઈ કહ્યું “કાકાજી, રાજા બિરબલ આવ્યા હતા. તેમણે તમારી વાત પુછી, જેથી મેં જે બન્યું હતું તે કહ્યું. આથી કૃષ્ણદાસને પકડીને મથુરા લઈ ગયા છે અને આપને સેવામાં નાહવા વિનંતી કરી છે, માટે પધારો."
"શું શ્રીનાથજીના અધિકારી જેલમાં ? ગોવર્ધનમાં આમ બની શકે ખરૂં ? તેમને કેદ શી રીતે સંભવી શકે ? જાઓ, તેમને અત્યારેને અત્યારે છોડાવી લાવો નહિ તો હું જલપાન પણ નહિ લઉં !”
"અરે, હવે શું કરૂં ? અત્યારે જ ઘોડેસવાર થઈ મથુરા જઈ બીરબલને સમજાવી છોડાવી લાવું મને આવી વિપરીત બુદ્ધિ ક્યાંથી સુઝી ?"
તુરત જ શ્રીગિરધરજી મારતે ઘોડે ગોકુલ જવા ઊપડ્યા એક ક્ષણ યુગોના યુગો જેવી લાગતી હતી. મનમાં તો ક્યારે મથુરા જાઉં અને કૃષ્ણદાસને છોડાવી લાવું, તેનાજ વિચારો આવતા હતા.
છેવટે તેઓ મથુરા પહોચ્યાં બિરબલના મહેલે જઈ ખબર કરી કે, "શ્રીગિરધરજી પધાર્યા છે." બિરબલ ઝડપથી આપશ્રીને સામે લેવા આવ્યો. તરત જ બિરબલે આપશ્રીને આસન પર પધરાવી કહ્યું "આપશ્રીનું એકાએક કેમ આવવું થયું ? મારા લાયક કંઈ આજ્ઞા ?" શ્રીગિરધરજીએ કહ્યુઃ "કૃષ્ણદાસજીને તમે કેદ કર્યા છે, તે સાંભળી આપશ્રી શ્રી ગુસાંઈજીએ અન્નજલનો ત્યાગ કર્યા છે, તેથી મારે મારતે ઘોડે તેમને છોડાવવા આવવું પડ્યુ. અને કૃષ્ણદાસ આવે પછી જ જલપાન કરીશ તેવી આજ્ઞા કરી છે. માટે આપ શીઘ્ર તેમને છુટા કરી મોકલો."
બિરબલે બૂમ પાડી બહારથી સીપાઈને બોલાવ્યો.
"અરે રામસિંહ, જાઓ બંદીખાનેથી કૃષ્ણદાસને છુટા કરી મારી પાસે હાજર કરો."
થોડીવાર પછી કૃષ્ણદાસને લઈ રામસિંહ આવી પહોચ્યો.
બિરબલે કહ્યું – "જાઓ, કૃષ્ણદાસ, આ વખતે તો શ્રીગુસાંઈજીની આજ્ઞા હોવાથી તમને જવા દઉં છું; પણ હવે પછી આ પ્રમાણે તેમને પજવશો તો નહિ છોડું."
શ્રીગિરધરજી અને કૃષ્ણદાસ કસુંબા છઠ્ઠના દિવસે ચંદ્ર સરોવર પર આવ્યા.
ત્યાં જઈ શ્રીગિરધરજીએ શ્રીગુસાંજીને કહયું – "કાકાજી ! કૃષ્ણદાસ આવ્યા છે."
શ્રી વિઠ્ઠલેશે પ્રેમપૂર્વક કૃષ્ણદાસજીને આવકાર આપતાં કહ્યુઃ "આવો કૃષ્ણદાસજી, આનંદમાં છો ને ?"
કૃષ્ણદાસજી આપશ્રીના ચરણકમળમાં નમી પડ્યા અને પોતાના અશ્રુ વડે આપશ્રીના સુકોમળ ચરણને ભીંજવી નાખી ગદગદ કંઠે કહ્યું – “કૃપાનાથ ! ક્યાં પરમ દયાળુ આપ, અને ક્યાં આ નીચ જીવ ! આવો જીવ આપના સ્વરૂપને કેવી રીતે ઓળખે ?"
ત્યાર બાદ કૃષ્ણદાસે પશ્ચાતાપથી ગળગળા હદયે નીચેનું પદ ગાયું -
પરમ કૃપાળુ શ્રીવલ્લભનંદન,
કરત કૃપા નિજ હાથ દે માથે,
જે જન શરણ આય અનુસરહીં,
ગ્રહી સોંપત શ્રીગોવર્દ્ધન નાથ,
પરમ ઉદાર ચતુર ચિંતામણિ,
રાખત ભવધારા બહી જાત,
ભજ ‘કૃષ્ણદાસ’કાજ સબ સરહીં,
જો જાને શ્રી વિઠ્ઠલ નાથ,
"ક્યાં કૃપાસાગર આપ અને ક્યાં આ તુચ્છ જીવ ! તેમની સરખામણી જ કેમ સંભવી શકે ? તેથી મારા અપરાધની ક્ષમા કરો. મારા દુર્ગુણો તરફ જોશો નહિ. હવે આપ હમણાંજ સેવામાં પધારો.”
આ દિવસ તે કસુંબા છઠ્ઠ.
તરતજ આપ કૃષ્ણદાસ સાથે ગિરિરાજ ઉપર પધારી અપરસમાં સ્નાન કરી, શ્રીજીના મદનમનોહર સ્વરૂપનું, પ્રસન્ન શ્રીમુખકમળનું દર્શન કરી અપાર અવર્ણનીય-આનંદ રસનો અનુભવ કરતાં સેવામાં તત્પર થયા.
આજના ઉત્સવની બીજી એક ભાવના
સંપ્રદાય અને સાહિત્યની દ્રષ્ટિથી વર્ષાઋતુ અનુરાગાત્મક હોવાથી મનોરથમાં પ્રથમ છે. અનુરાગનો રંગ લાલ હોય છે એટલે જ પ્રભુ સાજ વસ્ત્ર લાલ રંગના અંગીકાર કરે છે. વર્ષાઋતુ પ્રગટ થઇ સર્વત્ર મોરના ટહુકાર, મેઘ ગર્જના, વીજળીના ચમકારા અને હલકી વર્ષાની ફુહાર થાય છે. તેની ભાવનામાં ભગવદીયો કહે છે કે વીજળીના ઝબકારમાં પ્રભુ ની ઝાંખી અત્યંત સુંદર અને અલૌકિક ને હર્ષ અને રોમાંચની થાય છે. મેઘ ગર્જનાથી પ્રભુ મિલનની આતુરતા વધે છે અને મોરના ટહુકાથી ભાવોદ્દીપન થાય છે. વર્ષાઋતુના આરંભે જેમ મેઘ ચઢી આવે છે અને વર્ષા કરશે તે આશાએ જગતમાં આનંદ ફેલાય છે, તેમ મેઘરુપી ઘનશ્યામ પ્રભુ પોતાનો આનંદ રસ વરસાવી વ્રજભક્તોના મનોરથો અનેક પ્રકારે પૂર્ણ કરે છે.
રાગ – મલ્હાર
લાલ માઈ બાંધે કસૂંભી પાઘ,
કસૂંભી છડી હાથ મેં લીએ ભીંજ રહે અનુરાગ ૧
કસૂંભોઈ કટી બન્યો હૈ પીછોરા કસૂંભી ઉપરેના,
કસૂંભી બાત કહત રાધા સોં, કસૂંભે બને દોઉં નયના ૨
હરિત ભૂમિ યમુના તટ ઠાડે ગાવત રાગ મલ્હાર,
શ્રીવિઠ્ઠલ ગિરિધરન છબીલો શ્યામ ઘટા અનુહાર ૩

એમ. એ. – સંસ્કૃત (વલ્લભ વેદાંત) અભ્યાસક્રમ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે  આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ – ગુજરાત...
06/06/2023

એમ. એ. – સંસ્કૃત (વલ્લભ વેદાંત) અભ્યાસક્રમ
રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે
આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ – ગુજરાત પ્રદેશ આપ સૌ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી સાથે સૂચિત કરે છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ફેકલ્ટી ઓફ આર્ટસમાં છેલ્લા બે વર્ષથી MA – Sanskrit (Vallabha Vedanta)નો કોર્સ શરૂ થયો છે. મે ૨૦૨૩માં આ કોર્સની પહેલી બેચ ઉત્તીર્ણ થઈને આવશે.
આ અભ્યાસક્રમ બહુ સારા ગુણથી ઉત્તીર્ણ કરનાર
હિનાબેન શાહ સાથે આ કોર્સ અંગે વાત કરી શકશો.
હિનાબેનનો નંબર છે: ૯૪૨૮૭ ૬૨૨૬૯
બે વર્ષનો પૂર્ણકાલીન અનુસ્નાતક એટલે કે પોસ્ટગ્રેજ્યુએશન લેવલનો અંગ્રેજી માધ્યમમાં શરૂ થનાર MA – Sanskrit (વલ્લભ વેદાંતમાં સ્પેશિયલાઈઝેશન) સાથેનો કોર્સ ભારતભરમાં સૌથી પ્રથમ વખત છે. આ કોર્સમાં કોઈપણ ગ્રેજ્યુએટ એડમિશન લઈ શકે છે. ઉંમરનું કોઈપણ બંધન નથી.
-------------------
અગત્યની તારીખો
-------------------
ઓનલાઈન રજીસ્ટ્રેશન
૨૨ મે ૨૦૨૩થી ૨૦ જુન ૨૦૨૩
કાઉન્સેલિંગ અને વિષય પસંદગી
૨૧ જુન ૨૦૨૩થી ૨૪ જુન ૨૦૨૩
પસંદ થયેલા વિદ્યાર્થીઓની યાદી
૨૬ જુન ૨૦૨૩
ફી ભરવાની છેલ્લી તારીખ
૩૦ જુન ૨૦૨૩
----------------------------------------------------
એમ. એ. – સંસ્કૃત (વલ્લભ વેદાંત) અભ્યાસક્રમમાં
રજીસ્ટ્રેશન કરતી વખતે ઉભા થનાર
પ્રશ્નો અને તેના ઉત્તર
----------------------------------------------------
અભ્યાસક્રમમાં કોને એડમિશન મળી શકે?
કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન કરેલું હશે તેને એડમિશન મળશે. ઉંમરનો કોઈ બાધ નથી. ગમે તે શાખામાં સ્નાતક હશે અને કોઈપણ વર્ષમાં સ્નાતક કરેલું હશે તો તેઓ એડમિશનને પાત્ર ગણાશે.
કોર્સમાં રજીસ્ટર કેવી રીતે કરવું?
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં પ્રવેશ માટે ઓનલાઇન જ રજીસ્ટર કરવાનું હોય છે. સૌથી પ્રથમ નીચેની લિન્ક ઉપર જઈને સ્ટુડન્ટ તરીકે રજીસ્ટર કરાવવું.
https://admission.msubaroda.ac.in/applicant/...
મેનુમાં જઈને વિદ્યાર્થી તરીકે રજીસ્ટર કરાવવાનું છે. ત્યારપછી મોબાઈલમાં યુઝર નેમ અને પાસવર્ડ આવશે. પછી બીજું મેનુ આવશે. આ મેનુમાં બતાવેલા દસ્તાવેજ અને ફોટો સ્કેન કરીને તૈયાર કર્યા પછી “I confirm” પર ટીક કર્યા પછી Proceed પર ક્લિક કરવાનું છે. એટલે મેનુ આવશે.
મોબાઈલમાં યુઝર નેમ અને પાસવર્ડ આવ્યો છે તે એન્ટર કરવાનો અને પછી લોગઇન કરવાનું છે. લૉગઇન કર્યા પછી એક સ્ક્રીન આવશે.
આ સ્ક્રીનમાં જે માંગે તે ડોક્યુમેન્ટ અને ફોટો અપલોડ કરવાના છે તથા બધાં જ ફિલ્ડમાં માહિતી આપવાની છે. અંતમાં ફૉર્મ ફી એટલે કે રજીસ્ટ્રેશન ફી ભરવાની છે જે ઓનલાઇન જ ભરવાની છે.
બસ આટલું કરવાથી એમ. એ. – સંસ્કૃત (વલ્લભ વેદાંત) કોર્સમાં એડમિશન ફૉર્મ આખું ભરાઈ જશે. ફૉર્મ ભરવાની અંતિમ તારીખ પછી તમને આ કોર્સમાં એડમિશન મળ્યું છે કે નહીં તેની જાણ ઈમેઈલ અને મોબાઈલમાં મેસેજથી કરવામાં આવશે. જેને એડમિશન કન્ફર્મ થશે તેઓને યાદીમાં નામ આવ્યા પછી નક્કી કરેલી તારીખની અંદર નિર્ધારિત ફી ઓનલાઇન ભરવાની રહેશે.
કોર્સની ફી કેટલી રહેશે?
કોર્સની ફી એક વર્ષની રૂ. ૮,૦૦૦/-ની આસપાસ રહેશે.
કોર્સ કેટલા વર્ષનો છે?
કોર્સ બે વર્ષનો છે અને તેમાં ચાર સેમેસ્ટર રહેશે.
કઈ ભાષામાં ભણાવવામાં આવશે?
અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવશે. પરંતુ પ્રાધ્યાપક હિન્દી અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરશે કે જેથી વિદ્યાર્થીને સમજ પડી શકે.
પરીક્ષામાં કઈ ભાષામાં લખવાનું રહેશે?
પરીક્ષામાં અંગ્રેજી ભાષામાં લખવાનું રહેશે.
કેટલી પરીક્ષા લેવામાં આવશે?
એક વર્ષમાં કુલ ત્રણ પરીક્ષા લેવામાં આવશે. બે સેમેસ્ટરની વચ્ચે ૩૦ ગુણની Mid Semester Exam લેવામાં આવશે. એક વર્ષમાં બે Semester Exam ૭૦ ગુણની લેવામાં આવશે. એટલે કે વર્ષમાં કુલ ત્રણ પરીક્ષા લેવામાં આવશે. ૩૦ ગુણની Mid Semester Exam આપવી ફરજિયાત છે. જે ૩૦ ગુણની Mid Semester Exam નહીં આપે તે વિદ્યાર્થીએ પછી ૭૦ ગુણની Semester Examમાં ૪૦ ગુણ લાવવા ફરજિયાત થઈ જશે. એટીકેટી આપવામાં આવશે. બીજા કોઈપણ કોર્સમાં એડમિશન લીધા વગર ચાર વર્ષમાં આ અભ્યાસક્રમ પૂરો કરવો અનિવાર્ય છે.
અભ્યાસક્રમ ઓનલાઇન ચાલશે કે યુનિવર્સિટીમાં હાજરી આપવી પડશે?
અભ્યાસક્રમ ઓફલાઇન ચાલે છે. ઓછામાં ઓછી ૭૦% હાજરી આપવી ફરજિયાત છે. અનિવાર્ય સંજોગોમાં તેમાં છૂટછાટ મળી શકે છે. અભ્યાસક્રમ ઓનલાઈન શરૂ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે પણ હજી તેમાં સફળતા મળી નથી.
દરરોજ કેટલા કલાક અભ્યાસક્રમ ચાલશે?
રજાના દિવસો સિવાય દરરોજ ત્રણ કલાક અભ્યાસક્રમ ચાલશે.
અભ્યાસક્રમમાં વિષયો કેવી રીતે રહેશે?
દરેક સેમેસ્ટરમાં ચાર કોર વિષય ફરજિયાત ભણવાના રહેશે. બ્રોશરમાં દરેક સેમેસ્ટર પ્રમાણે આ વિષયો દર્શાવેલા છે. એક ફરજિયાત વિષય Inter Disciplinary Elective છે જેમાં વિદ્યાર્થીએ પોતાની રીતે એ વિષયની પસંદગી કરવાની રહેશે. તદુપરાંત દરેક સેમેસ્ટરમાં Sanskrit Language and Literature પર એક પ્રોજેક્ટ કરવાનો રહેશે.
---------------------------------------
ઓછામાં ઓછા વીસ વિદ્યાર્થીઓ મળશે
તો જ આ કોર્સ શરૂ થઈ શકશે.
---------------------------------------
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ
MA – Sanskrit (Vallabha Vedanta)નો કોર્સ બે વર્ષથી શરૂ કર્યો છે.
------------------------------------------------------
હવે વિદ્યાર્થીઓ કરી આપીને આ કોર્સ ખરેખર શરૂ થાય
એ જોવાની જવાબદારી આપણા સૌની બને છે.
------------------------------------------------------
આપ સૌ વૈષ્ણવોને ખૂબ મોટી સંખ્યામાં આ કોર્સમાં જોડાવા નિમંત્રણ છે.
આપના બધા જ ગ્રુપમાં આ માહિતી કોપી કઆરીને મુકશો જેથી વધારેમાં વધારે આ કોર્સનો પ્રચાર કરી શકાય અને વધારે ને વધારે વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે.
------------------------------------------------------
આવો... સંપ્રદાયને શૈક્ષણિક પદ્ધતિથી શીખીએ અને
સંપ્રદાયના સિદ્ધાંતોને સાચી રીતે સમજીએ.
આ અંગે કોઈપણ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો નીચેના પદાધિકારીઓનો સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦ અને સાંજે ૦૪.૦૦ થી ૦૬.૦૦ દરમિયાન સંપર્ક કરવો.
આપના બધાં જ ગ્રુપમાં આ માહિતી આપશો કે જેથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આ કોર્સમાં જોડાઈ શકે.
ડૉ. જયેશ શાહ – પ્રદેશ અધ્યક્ષ
+૯૧ ૯૯૨૪૮ ૭૫૪૧૯
શ્રી કેતનભાઈ પટેલ – કાર્યાધ્યક્ષ
+૯૧ ૯૯૦૯૯ ૫૫૬૨૯
શ્રી નવીનભાઈ શાહ – મહામંત્રી
+૯૧ ૯૯૨૫૨ ૧૩૧૪૦
શ્રી કે. ટી. પરીખ - ઉપાધ્યક્ષ
+૯૧ ૯૧૭૩૦ ૧૭૭૭૭

સ્વપ્નદ્રષ્ટા પુ. પા. ગોસ્વામી શ્રી પ્રથમેશજી મહારાજશ્રીના સ્વપ્નોની પરિષદ જ્યાં સુધી તેમના સ્વપ્નોને એક આંદોલનનું સ્વરૂ...
10/05/2023

સ્વપ્નદ્રષ્ટા પુ. પા. ગોસ્વામી શ્રી પ્રથમેશજી મહારાજશ્રીના સ્વપ્નોની પરિષદ
જ્યાં સુધી તેમના સ્વપ્નોને એક આંદોલનનું સ્વરૂપ નહીં આપીએ
ત્યાં સુધી આપશ્રીના સ્વપ્નો સાકાર નહીં થાય.
હે પુષ્ટિ પથિકો...!!!
ઉઠો...જાગો....એક બનો અને
સંપ્રદાયની ગરિમા પુન:સ્થાપિત કરો...!!!
આહુતિનો સમય હવે પાકી ગયો છે.
હવે આળસુ રહ્યે નહીં ચાલે.
સંપ્રદાયની ગરિમા જાળવવાનું દાયિત્વ
શ્રીમહાપ્રભુજીએ નાદશ્રુષ્ટિરૂપી વૈષ્ણવોને સોંપ્યું છે.
હે વલ્લભીયજન...!!!
ઉઠો....જયઘોષ કરો શ્રી વલ્લભાધીશનો...!!!
આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ માટે તો પુ. પા. ગોસ્વામી શ્રી પ્રથમેશજી મહારાજશ્રી પ્રાણ સમાન હતા. સર્વસ્વ હતા. આપશ્રીના માર્ગદર્શનમાં પરિષદ ખુબ જ ફૂલીફાલી હતી. વારંવાર અસફળ થવા છતાં આપશ્રીની આસ્થા ક્યારેય ડગી ન હોતી. આપશ્રીએ જ બ્રહ્મવાદ આધારિત વૈષ્ણવોમાં એકતા લાવવા માટે જીવનની અંતિમ ક્ષણ સુધી અથાગ પ્રયાસો કર્યા હતા.
પુ. પા. ગોસ્વામી શ્રી પ્રથમેશજી મહારાજશ્રીના શબ્દો આજે યાદ આવે છે
જે આજે પણ એટલા જ યથાર્થ છે:
“આજે તો વલ્લભકુલને પણ આપણે જ (એટલે કે પરિષદે જ) સંભાળવો પડશે. આપણા કે પારકા, આ પક્ષવાળા કે સામા પક્ષવાળા કે વિરોધીઓ – બધા જ આપણા સ્વજનો છે. તે આપણને તરછોડે તો ભલે તરછોડે. આ જ તો આપણી સાચી કસોટી છે. આવા કપરા સમયમાં શ્રી મહાપ્રભુજીના આશ્રયની દ્રઢતા સિવાય ટકી શકાય નહીં. હે પુષ્ટિ પથિકો...!!! આપ અમારા છો માટે આપને કહી શકાય. આપ મારી વાત સંભાળશો અને તેના ઉપર અમલ કરશો જ તેવો દ્રઢ વિશ્વાસ મને આપ સૌના ઉપર છે. કઠિનતા મને પણ ડગલે ને પગલે નડી રહી છે. અપમાન અને મારી સામે રચતા ષડયંત્ર પણ મેં જોયા છે અને સમજ્યા છે. છતાં મારે તો સંપ્રદાયની સેવા કરવી છે અને શુદ્ધ મનથી અને સ્નેહથી કરવી છે. હું આપ સૌને શું સોંપું? આપ સૌ તો વૈષ્ણવ છો અને શ્રી મહાપ્રભુજીએ જ આપ સૌને આ સંપ્રદાય સોંપ્યો છે અને આપ સૌના કલ્યાણ માટે જ સોંપ્યો છે તેમાં આપ સૌનું હિત જ સમાયેલું છે. ચિંતા કરતા નહીં. જીવનમાં મને પણ ઘણા કપરા અનુભવો થયા છે. તેમાં પણ શ્રી પ્રભુએ શ્રીમહાપ્રભુજીનો બાળક ગણીને કૃપા વિચારીને શુદ્ધ ભાવના જાળવવામાં કૃપા કરી અને સામર્થ્ય આપ્યું તે જ આપ સૌને પણ અનુગ્રહથી કૃતાર્થ કરશે જ” (૧૨/૦૫/૧૯૮૮)
૧૫/૦૮/૧૯૮૧ના રોજ લખે છે:
“પરિષદ પ્રત્યે જો ગોસ્વામી બાળકોની સાચી લાગણી અને આશિષ હોત તો આજે સંપ્રદાય ક્યાં હોત? તેની આ દશા થાત નહીં. મને સમજાતું નથી કે બધાનું આશ્રય બળ ક્યાં ગયું?”
પુ. પા. ગોસ્વામી શ્રી પ્રથમેશજી મહારાજશ્રીનો પ્રત્યેક શબ્દ આજે પણ એટલો જ યથાર્થ છે. જો આજે આપશ્રી ભૂતલ ઉપર બિરાજમાન હોત તો સંપ્રદાયની આજની દશા જોઇને તો શું વિચારત એવી કલ્પના કરતાં જ કંપારી છૂટી જાય છે.
ચાલો....આજે સ્વપ્નદ્રષ્ટા પુ. પા. ગોસ્વામી શ્રી પ્રથમેશજી મહારાજશ્રીના જન્મદિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણે સૌ પુષ્ટિ પથિકો એક બનીને સંપ્રદાયમાં નવચેતન લાવીએ. સૌ ગોસ્વામી બાળકોને એક મંચ ઉપર લાવીને સંપ્રદાયમાં એક નવી ક્રાંતિ લાવીને નવા પ્રાણ ફૂંકીએ. આ માટે આપણે સૌએ એક બનવું પડશે અને એક અવાજે કહેવું પડશે:
“પ્રેમ સે બોલો જયશ્રીકૃષ્ણ
સબ મિલકર બોલો સંપ્રદાય ફર્સ્ટ”

ચંદનના શૃંગાર અને સાંઝી:પ્રશિક્ષણ શિબિર ભરૂચમાં અભૂતપૂર્વ સફળતા પછી ઉષ્ણકાલમાં શ્રીઠાકોરજીને ધરાવવામાં આવતા ચંદનના શૃંગા...
04/05/2023

ચંદનના શૃંગાર અને સાંઝી:
પ્રશિક્ષણ શિબિર
ભરૂચમાં અભૂતપૂર્વ સફળતા પછી
ઉષ્ણકાલમાં શ્રીઠાકોરજીને ધરાવવામાં આવતા
ચંદનના શૃંગાર, ચંદનના છાપાના વસ્ત્ર, પીછવાઈ વગેરે માટે
----------------------------------------
ચંદનના શૃંગાર અને સાંઝી:
પ્રશિક્ષણ શિબિર
વડોદરા ખાતે આયોજીત કરી છે.
----------------------------------------
તારીખ
૧૧ મે ૨૦૨૩
સમય
બપોરે ૨.૩૦ થી સાંજે ૬.૩૦

સ્થળ:
લાડભવન,
પોલો ગ્રાઉન્ડ સામે, વડોદરા

"વહેલા તે પહેલા"ના ધોરણે
૧૦૦ મહિલાઓ
આ પ્રશિક્ષણ
શિબિરમાં ભાગ લઈ શકશે.
--------------------------------------------------------------------------
ન્યોછાવરઃ રૂ. ૧૦૦/-
ઓનલાઈન પેમેન્ટ જી-પે અથવા પેટીએમ
મેઘા શાહ – ૯૯૦૯૨ ૫૨૮૧૧ – આ નંબર પર કરવું
----------------------------------------------------
ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી સ્ક્રિન શૉટ લઈને
હિનાબેન શાહ – ૯૪૨૮૭ ૬૨૨૬૯ – આ નંબર પર
શિબિરાર્થીનું નામ, સરનામું અને મોબાઈલ નંબર
વોટ્સએપ કરવાનો રહેશે
--------------------------------------------------------------------------
શૃંગાર માટેનું મટિરિયલ ચંદન તથા સાંઝીના બે બીબાં સહિત
સોય-દોરો, કાતર, નાના મોતી, મોટા મોતી, પાયલ માટેની તર તથા પડછીયા
૧૦૦ શિબિરાર્થીને ફ્રી આપવામાં આવશે.
--------------------------------------------------------------------------
શિબિરાર્થીએ પીછવાઈ તેમજ વસ્ત્ર માટેનું કાપડ
(પોતપોતાના શ્રીઠાકોરજીમાં જે સાઇઝ હોય તે પ્રમાણે) તથા
બનાવેલા શૃંગાર મુકવાની ડબ્બી અથવા બેગ જાતે લાવવાની રહેશે.
--------------------------------------------------------------------------
મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે સૌ પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા અને
કાર્યક્રમના આયોજનમાં સહભાગી થવા માટે સદૈન્ય વિનંતી છે.
--------------------------------------------------------------------------
આ કાર્યક્રમ ભરૂચ શાખાની બહેનોના સહયોગથી કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ શાખાની બહેનો જ પ્રશિક્ષણ આપશે.
--------------------------------------------------------------------------

ભગવાન વિષ્ણુના આ બધા અવતારોમાં નૃસિંહ એ ચોથો અવતાર છે. શ્રી મહાપ્રભુજીએ જે ચાર જયંતિઓ મનાવવાની નક્કી કરી છે તેમાં એક નૃસ...
04/05/2023

ભગવાન વિષ્ણુના આ બધા અવતારોમાં નૃસિંહ એ ચોથો અવતાર છે. શ્રી મહાપ્રભુજીએ જે ચાર જયંતિઓ મનાવવાની નક્કી કરી છે તેમાં એક નૃસિંહ જયંતિ છે. આ વિષ્ણુ ભગવાનનો અદ્વિતીય અવતાર છે. સૌથી અલગ અને અલૌકિક સ્વરૂપવાળા આ અવતારનું વર્ણન શ્રીમદ્ ભગવત, મહાભારત, સ્કંદ પુરાણ, હરિવંશ પુરાણમાં દર્શાવેલું છે. સંપૂર્ણ વિશ્વને અભયદાન આપનારા તથા હિરણ્યકશ્યપના કોપથી પ્રહ્લાદનું રક્ષણ કરવા ભગવાન નૃસિંહ વૈશાખ સુદ ચૌદશના દિવસે સ્તંભમાંથી પ્રગટ થયા હતા. તેથી આ દિવસે ભગવાન નૃસિંહ જયંતી હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપ ઋષિ કશ્યપ અને દિતિના પુત્ર હતા. જેમાંથી હિરણ્યાક્ષને ભગવાન શ્રીવિષ્ણુએ પૃથ્વીની રક્ષા કરવા માટે વરાહ રૂપ ધારણ કરીને વધ કર્યો હતો. પોતાના ભાઈના વધથી ક્રોધિત થઈને તેણે અજેય થવાનો સંકલ્પ કર્યો. હજારો વર્ષ સુધી તેણે કઠોર તપ કર્યું, તેના તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અજેય થવાનું વરદાન આપ્યું. વરદાન મળતાંની સાથે જ તેણે સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો. લોકપાલોની મારીને ભગાડી મૂક્યા અને સ્વયં સંપૂર્ણ લોકોનો અધિપતિ બની ગયો. તે હવે પ્રજા પર પણ અત્યાચાર કરવા લાગ્યો. આ જ દરમિયાન હિરણ્યકશિપુની પત્ની કધાયુએ એક પુત્રને જન્મ આપ્યો. જેનું નામ પ્રહ્લાદ રાખવામાં આવ્યું. એક રાક્ષસ કુળમાં જન્મ લેવા છતાં પણ પ્રહ્લાદમાં રાક્ષસો જેવા કોઈ દુર્ગુણ નહોતા. તે વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો અને પોતાના પિતાના અત્યાચારોનો પણ વિરોધ કરતો હતો.
માતાના ઉદરમાં જ કોઠાની વિદ્યા શીખનાર શ્રીકૃષ્ણના ભાણેજ અભિમન્યુની જેમ જ પ્રહ્લાદે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પોતાની માને મહર્ષિ નારદ દ્વારા અપાતા ભક્તિગાનનું રસપાન કરી પ્રાત:સ્મરણીય બન્યા. જેના આત્મ-મંદિરમાં ખરેખર સૂક્ષ્મ દીપક પ્રગટ્યો છે અને જેનાં મન અને બુદ્ધિ પ્રકાશથી પરિપ્લાવિત થઇ વિશ્વમાં વિલસિત વિષ્ણુની શક્તિ અને ભક્તિમાં રત બન્યા એવા કુલ-દીપક પ્રહ્લાદે - દિનપ્રતિદિન વિષ્ણુ પ્રત્યેનું વેર વાળવામાં પાછું વાળીને ન જોતા પોતાના જ પિતા હિરણ્યકશ્યપની ઊંઘ ઉડાડી દીધી. પોતાને પરમાત્મા માનતા અને મનાવતા હિરણ્યકશ્યપની સામે પોતાનો જ પાંચ વર્ષનો પુત્ર પ્રહલાદ પોતાના એકમાત્ર શત્રુની સ્તુતિ કરે પ્રશસ્તિ કરે એ કેમ સહન થાય?
અનેક પ્રકારે સમજાવ્યે ન સમજતા પ્રહ્લાદને પૂરો કરવા પિતા હિરણ્યકશ્યપ અનેક પ્રપંચો રચે છે અને અમાનુષી આદેશો આપે છે છતાં એ સઘળાં પોતાને જ અપયશ આપનારાં નીવડે છે અને આતમનગરીનો અલગારી બાળરાજા, શોણિતપુરના સિંહાસનારૂઢ પિતા પાસે અજેય અને અમર રહે છે. કારણ શું છે? પોતાના જ પ્રતિનિધિ સમા પાવનકારી પ્રહ્લાદને પ્રજાએ ચાહ્યો છે અને પરિણામે રાજાના પ્રપંચો તેમ જ આજ્ઞાઓનું પાલન પણ એ એવી રીતે કરે છે કે સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ.
આવા પ્રહ્લાદની અટલ અને અચલ શ્રદ્ધાએ હિરણ્યકશ્યપને પોતાના કરતાં પણ વધારે વિષ્ણુમય બનાવી દીધો છે અલબત શત્રુભાવે...!!!
આખરે હવે એના ધૈર્યની હદ આવે છે અને પોતે જ એનો આખરી અંજામ લાવવાનો નિશ્ચય કરે છે. દિવસભર ચાલેલી સભાની પૂર્ણાહુતિ પહેલાં જ એ બતાવી આપવા માગે છે કે પોતે જ સર્વેસર્વા—સર્વોપરી એવો પરમાત્મા છે અને….
પોતાની સમક્ષ હાજર કરવામાં આવેલા પ્રહ્લાદને પોતે પૂછે છે
"બોલ ! તારો વિષ્ણુ ક્યાં છે?"
આ પ્રશ્ન પર પ્રહ્લાદે નિર્ભયતાથી કહ્યું, "ત્યાંથી જ મળે છે જ્યાંથી તમને મળે છે. તે ભગવાન છે. જે તમારા અને મારામાં છે. જે કણ-કણમાં વસેલા છે."
આ સાંભળી ક્રોધિત થઈને હિરણ્યકશ્યપે કહ્યું, "તો શું તારા ભગવાન આ સ્તંભમાં પણ છે?" પ્રહ્લાદે ઉત્તર આપ્યો, "હા, તેઓ આ સ્તંભમાં પણ છે." પ્રહ્લાદની વાત સાંભળીને અસુરરાજ હિરણ્યકશિપે તે સ્તંભ પર પ્રહાર કર્યો. ત્યારે સ્તંભમાં વિસ્ફોટ થયો અને ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતારમાં પ્રગટ થયા. તેમનું માથું સિંહનું અને ધડ મનુષ્યનું હતું. ચહેરા પર ભયંકર ક્રોધ હતો. તેઓ સ્તંભમાંથી બહાર નીકળી આગળ વધીને અસુરરાજ હિરણ્યકશ્યપને ઊંબરા સુધી ખેંચી ગયા અને ત્યારબાદ પોતાના ખોળામાં તેને ઉઠાવી લીધો.
આ સમયે હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુ સામે પોતાને અસહાય અનુભવી રહ્યો હતો. તે જ વખતે તેને બ્રહ્માજી પાસેથી મળેલું વરદાન યાદ આવ્યું. તેણે બ્રહ્માજી પાસે માંગ્યું હતું કે "ભૂમિ, જળ અને આકાશ એમ ક્યાંય મારો વધ ન થઈ શકે. હું ઘરની અંદર ન મરું અને બહાર પણ ન મરું. હું દિવસે ન મરું અને રાત્રે પણ ન મરું. કોઈ પણ દેવ, દૈત્ય, મનુષ્ય કે પશુ મારો વધ ન કરી શકે. વિશ્વનાં સમસ્ત શસ્ત્ર મારી આગળ વ્યર્થ થઈ જાય."
અને…. એ વધેરાયેલા સ્તંભમાંથી એક વિચિત્ર આકારને અવતાર પામતો સભામંડપમાં હાજર સઘળા નિહાળે છે અને અર્ધ-પલકારામાં તો એ આકાર હિરણ્યકશ્યપ કંઇ સમજે એ પહેલાં જ એને પકડી રાજસભાના મુખ્ય દ્વાર વચ્ચે પોતાના ખોળામાં પછાડીને પૂછે, "બોલ! હું કોણ છું? માનવ કે પશુ? દેવતા કે દૈત્ય? અને કહે કે તું અંદર છે કે બહાર ? પૃથ્વી પર છે કે આકાશમાં? અને અત્યારનો સમય દિવસ છે કે રાત?"
હિરણ્યકશ્યપ શો જવાબ આપે? જે વરદાન મેળવી પોતે અમરતા મેળવી ચૂક્યો છે એમ માનતો હતો તે વરદાન અત્યારે એને કોઇ રીતે બચાવી શકે તેમ નહોતું. એ અવતાર નર અને સિંહના—બંને સ્વરૂપમાં નૃસિંહનો હતો. ન હતો એ માનવી। ન હતો એ પશુ. ન હતો એ દેવતા કે ન હતો એ દૈત્ય. દ્વાર વચ્ચે એ નૃસિંહના ખોળામાં રહેલ હિરણ્યકશ્યપ ન હતો અંદર કે ન હતો બહાર. ન હતો પૃથ્વી પર કે ન હતો આકાશમાં અને સમય પણ બરાબર સંધ્યાનો જ હતો.
શું જવાબ આપવો એમ એ વિચારે ત્યાં તો....
વિકરાળ નખવાળા પંજાના દર્શન સાથે આખરી પ્રશ્ન પુછાયો
"બોલ! આ અસ્ત્ર છે કે શસ્ત્ર ?"
અને…. એ નખ વડે નૃસિંહ અવતારે પૃથ્વીને હિરણ્યકશ્યપથી મુક્ત કરી.
માનવ મનની કલ્પના પણ કેટલી સીમિત હોય છે? પોતાને અજેય અને અમર માનતો હિરણ્યકશ્યપ આવી અકલ્પ પરિસ્થિતિમાં પરાસ્ત થયો અને પશુતા સ્વરૂપે પાંગરેલી એ પરાશક્તિનો પોતાના પરમભક્તોના પ્રતીકરૂપ પ્રહલાદની પ્રાર્થના દ્વારા એ પધારેલ પરમાત્માએ એનો પરાભવ કર્યો.

સામાજિક સમરસતાના પ્રહરી–ક્રાન્તદ્રષ્ટા દાર્શનિક જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજીના ૫૪૬મા પ્રાગટ્ય દિવસે એક વ્યાપક મનોમંથન  જગદગ...
16/04/2023

સામાજિક સમરસતાના પ્રહરી–ક્રાન્તદ્રષ્ટા
દાર્શનિક જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજીના
૫૪૬મા પ્રાગટ્ય દિવસે એક વ્યાપક મનોમંથન
જગદગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ છે. સનાતન હિંદુ ધર્મમાં (૦૧) શૈવ (૦૨) શાક્ત અને (૦૩) વૈષ્ણવ પરંપરા સદીઓથી ચાલતી રહી છે. વૈષ્ણવ પરંપરામાં મુખ્ય ચાર આચાર્યશ્રીઓ થઈ ગયા (૦૧) શ્રીરામનુજાચાર્ય (૦૨) શ્રીનિમ્બાર્કાચાર્ય (૦૩) શ્રીમાધવાચાર્ય અને (૦૪) શ્રીવલ્લભાચાર્ય. આમાં વધુ એક આચાર્યનો સમાવેશ કરી શકાય તે છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ.
હવે વૈદિક ફિલોસોફીની વાત કરીએ તો
શ્રીરામનુજાચાર્ય દ્વારા વિશિષ્ટાદ્વૈત,
શ્રીનિમ્બાર્કચાર્ય દ્વારા દ્વૈતાદ્વૈત,
શ્રીમાધવાચાર્ય દ્વારા દ્વૈત અને
શ્રીવલ્લભાચાર્ય દ્વારા શુદ્ધાદ્વૈત
ફિલિસોફી પ્રતિપાદિત કરવામાં આવી.
ત્યારબાદ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા અચિંત્ય ભેદાભેદની ફિલોસોફી આપવામાં આવી.
આ પાંચે ફિલોસોફી શું છે અને તેમની વચ્ચે શું ભેદ છે તે વિષે ફરી ક્યારેક વિગતે વાત કરીશું. આજે શ્રીવલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ છે તો આજે આ ક્રાંતદ્રષ્ટા વિષે જ વાત કરીશું અને આપશ્રી દ્વારા સ્થાપિત પુષ્ટિ સંપ્રદાય આજે ક્યાં છે એ વિષે જોઈશું.
પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજી ક્રાંતિકારી હતા અને આજથી ૫૪૬ વર્ષ પહેલાં દલિત, આદિવાસી અને પછાત જાતિઓના લોકોને સેવક બનાવી તેમનો સમાવેશ પુષ્ટિમાર્ગમાં કરીને તેઓને સેવા કરવાનો અધિકાર પણ આપ્યો હતો. આજથી ૫૪૬ વર્ષ પહેલા તેમને સામાજિક સમરસતા લાવવા માટે સફળતાપૂર્વક અથાગ પ્રયત્નો કર્યા હતા. આથી જ પુષ્ટિમાર્ગમાં કોઈ જ ઊંચ કે નીચ નથી. કોઈ જાતિભેદ કે વર્ણભેદ નથી. આવી સામાજિક સમરસતાની ક્રાંતિકારી વાત જયારે હાલના સમયમાં પણ અઘરી છે તો આજથી ૫૪૬ વર્ષ પહેલાં કરવી તો કેટલી ક્રાંતિકારી હશે?
આવી દીર્ઘદ્રષ્ટિ ભરેલી ધર્મભાવનાનો પ્રચાર-પ્રસાર કરીને હિંદુ ધર્મને કાળના મુખમાંથી બચાવવા માટે શ્રીવલ્લભાચાર્યજીએ ભગીરથ યોગદાન આપ્યું હતું. આજે મંદિરોમાં દલિત તથા ચાંડાલને પ્રવેશ માટે તકલીફ પડે છે અને તેના માટે કાયદાઓ અમલમાં લાવવા પડે છે તો ૫૪૬ વર્ષ પહેલા શ્રી વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજીએ જયારે દલિત, ચાંડાલ, આદિવાસી તથા રસખાન અને તાજબીબી જેવા મુસ્લિમોને કીર્તન સેવાનો અધિકાર આપ્યો હશે ત્યારે શું થયું હશે? પરંતુ શ્રી મહાપ્રભુજીએ તે સિદ્ધ કરી બતાવીને સાચો સનાતન ધર્મ શું છે તે અંગેનું ઉદાહરણીય કાર્ય કરી બતાવ્યું હતું.
સામાજિક સમરસતાનો સરળ સંદેશ પ્રસરાવીને ભારત વર્ષના ઈતિહાસને એક નવી દિશા ચીંધી સદીઓથી અનેક દુષણોથી સબડી રહેલ સમાજના જનમાનસને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના ક્રાંતિકારી સિદ્ધાંતો અને વિચારોથી પ્રભાવિત કરી વૈચારિક ક્રાંતિથી તે સમયે હિંદુ સમાજને સમૃદ્ધ કર્યો હતો.
શ્રીવલ્લભાચાર્યજી હંમેશા એવું માનતા હતા કે ભગવાન પોતે સર્વતંત્ર સ્વતંત્ર હોવાથી માત્ર બ્રાહ્મણ કે વૈશ્ય કે ક્ષત્રિય ઉપર જ કૃપા કરે છે એવો કોઈ નિયમ ભગવાનનો નથી. સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ તથા સમાજના અન્ય શોષિત અને વંચિત સમાજો ઉપર પણ ભગવાનની કૃપા વરસે છે એવું તેઓ દ્રઢપણે માનતા હતા. ભગવાનની કૃપા કોઈપણ વ્યક્તિ ઉપર ક્યારેય પણ અને કોઈપણ સ્થળે થઇ શકે છે. તેમાં દેશ-કાલ કે જાતિ બંધનરૂપ નથી થઇ શકતી.
ક્રાંતદ્રષ્ટા શ્રી વલ્લભાચાર્યજી તેમના સમયથી બહુ આગળ વિચારનારા દીર્ઘદ્રષ્ટા હતા. મને ઘણી વખત વિચાર આવે છે કે જો શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી ન થયા હોત તો?
ક્રાંતિ કરવી એટલે જ્યાં ગતિ રોકાઈ ગઈ હોય તેને ત્યાં ગતિ આપવી અથવા અંધકારમાં છુપાયેલી વસ્તુ ઉપર પ્રકાશ ફેંકવો.
તોડફોડ કરીને સ્વચ્છન્દતાથી પોતાની મનમાની કરવી એ ક્રાંતિનો અર્થ નથી.
શ્રી મહાપ્રભુજી આવા ક્રાન્તદ્રષ્ટા આચાર્ય હતા કે જેમને તાત્વિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને રાષ્ટ્રીય ક્ષેત્રે એવા અનેક સત્યો ઉજાગર કર્યા જે તે સમયે અંધકારની ગર્તામાં દબાઈ ગયા હતા.
પુષ્ટિમાર્ગમાં વેદને યોગ્ય સ્થાન આપીને ભગવદ માર્ગથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે એમ શ્રી મહાપ્રભુજીએ દ્રઢતાથી પ્રતિપાદિત કર્યું. આ માર્ગમાં કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી. કોઈ જાતિભેદ નથી કે કોઈ વર્ણભેદ નથી.
સામાન્ય રીતે "ભક્તિ" અને "શૃંગાર" એકમેકના વિરોધી ગણાય છે. તેમનું ઐકય શ્રી મહાપ્રભુજીએ જે સાધ્યું તેવું કોઈ આચાર્યશ્રીઓ સાધી શક્યા નથી.
જો શ્રી વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજી ન થયા હોત તો કામદેવ બિચારો બેઠો બેઠો રડ્યા કરત અને આ પૃથ્વી ઉપરના સર્વ ધર્મો (અહી મારી કોઈ ધર્મની ટીકા કરવાનો કોઈ ઉદ્દેશ નથી - કોઈ તેને ઉલટા અર્થમાં ના લે) સૌન્દર્યવિહીન હોત અને કલાવિહીન હોત.
બ્રહ્મચર્ય નહિ પણ સંયમિત ગૃહસ્થીજીવન વ્યતીત કરવાની વાત માત્ર ને માત્ર શ્રીવલ્લભાચાર્ય જ કરી શકે. શ્રીવલ્લભાચાર્યજીએ "ઇન્દ્રિયદમન" નહિ પણ "ઇન્દ્રિયના ઉર્ધ્વગમન"ની વાત કરીને વિકારને તિલાંજલિ આપવાની વાત કરીને એક નવો વિચાર પ્રસ્તુત કર્યો. તેઓના મતે ઇન્દ્રિયદમનથી માત્ર વિકાર જ પેદા થાય છે પરંતુ ઇન્દ્રિયોનું ઉર્ધ્વગમન કરવાથી ઇન્દ્રિયો શુદ્ધ બનીને વિકાસ સાધે છે અને પરિપૂર્ણ બને છે.
શ્રીવલ્લભાચાર્યજીએ ભક્તિમાં શૃંગાર અને કલાનો સમન્વય કરીને ભક્તિને જીવંત બનાવી દીધી. ઘરમાં રહીને જ ભક્તિ કરવાનો સિદ્ધાંત આપીને વિષયાનંદ અને ભજનાનંદનું તારતમ્ય બતાવીને સુલભ બનાવી દીધો. પ્રત્યેક વ્યક્તિ પોતાનામાં જે આનંદ રહેલો છે તે ભૂલી ગયો છે તેવા સર્વેને શ્રીવલ્લભાચાર્યજી આંતરિક આનંદ શું છે અને તે કેવી રીતે મેળવી શકાય તે સમજાવીને વ્યક્તિને ચેતનવંતો અને આનંદથી ભરપૂર પ્રેમમય બનાવી દેવાના સિદ્ધાંત પ્રસ્તુત કર્યો છે જે આજના તણાવ અને સ્ટ્રેસના યુગમાં ખુબ જ ઉપયોગી છે.
શ્રીવલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત આવો આ દિવ્ય અને અલૌકિક પુષ્ટિમાર્ગ શ્રીહરિ-ગુરુ-વૈષ્ણવની ત્રિવેણીથી પોષિત અને અનુગ્રહિત છે. આપણા શરીરમાં ત્રણ નેત્ર છે. એક નેત્ર “અદ્રશ્ય” છે અને તે કપાળમાં મધ્ય ભાગમાં આવેલ છે. આ નેત્ર તે જ શ્રીહરિ. આજે પ્રભુના અનવતરકાલમાં પ્રભુ સાક્ષાત સદેહે બિરાજમાન નથી ત્યારે શ્રીહરિ “ત્રીજા નેત્ર” રૂપે બિરાજમાન થઈને "ગુરુ-વૈષ્ણવ” ઉપર કૃપાદ્રષ્ટિ વરસાવી રહ્યા છે.
અન્ય જે બે નેત્રો કે જેનાથી આપણે જોઈએ શકીએ છીએ તે બે નેત્ર એટલે બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એટલે કે “ગુરુ અને વૈષ્ણવ”. આ બંને નેત્ર સાથે ખુલે છે – સાથે બંધ થાય છે – સાથે હસે છે – સાથે રડે છે – સાથે આંસુ પાડે છે પછી તે દુ:ખના હોય કે હર્ષના હોય. આવી દિવ્ય વ્યવસ્થા સનાતન હિન્દુ ધર્મના અન્ય કોઈપણ સંપ્રદાયમાં નથી.
આપણે સૌ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ એક મંચ ઉપર આવીને ક્રાંતિકારી જગદગુરુના પુષ્ટિમાર્ગને હવે નવચેતન આપવાનો સમય પાકી ગયો છે. આધુનિકતાને ધ્યાનમાં રાખીને પ્રાચીનતાનો સમન્વય કરવો છે. પ્રાચીનતામાં શ્રીવલ્લભાચાર્યજી પ્રણિત જે મૂળ સિદ્ધાંતો છે તેને અવગણ્યા વગર આધુનિક સમાજ અને આધુનિક યુવાનને ગમે તે રીતે સંપ્રદાયને નવચેતન આપીને નવપલ્લવિત કરીને ૫૪૬ વર્ષ પછી ફરી એક વખત ક્રાંતિકારી પરિવર્તનો કરવા છે.
આજે આ દિવ્ય, વૈજ્ઞાનિકતા સાથે સુસંગત અને ક્રાંતિકારી સંપ્રદાયને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સમગ્ર વિશ્વને તણાવમાંથી બહાર લાવવાની અનિવાર્યતા દેખાઈ રહી છે. વિશ્વ આજે જ્યારે ખુબ જ કપરી પરિસ્થતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે પુષ્ટિમાર્ગે પોતાની વૈજ્ઞાનિકતા સભર સૈદ્ધાંતિક સમૃદ્ધિને વિશ્વ સમક્ષ ઉજાગર કરીને પ્રસ્તુત કરવી એ આજના સમયની માંગ છે.
આજે જ્યારે કુટુંબો તૂટી રહ્યા છે અને કુટુંબ પ્રથા પર જ પ્રશ્નાર્થ ચિન્હ લાગવા માંડ્યા છે તેવા કપરા સંજોગોમાં વિશ્વ સમક્ષ “ગૃહેસ્થિત્વા સ્વધર્મત:” અને “બ્રહ્મચર્ય નહિ પણ સંયમિત ગૃહસ્થીજીવન”ના પુષ્ટિમાર્ગના સિદ્ધાંતથી ઘરમાં રહીને કેવી રીતે સ્વધર્મનું પાલન કરી શકાય એ સિદ્ધાંતને કોઈપણ જાતના સૈદ્ધાંતિક તોડ-મરોડ વગર આધુનિક રીતે કેવી રીતે સુસંગત થઈ શકે છે તે રીતે તેનો પ્રચાર-પ્રસાર થવો અનિવાર્ય છે. એવું થશે તો કુટુંબ પ્રથા તુટતી અટકી શકે છે.
આજે જ્યારે સમગ્ર દેશ જ્ઞાતિવાદથી સબડી રહ્યો છે તેવા સંજોગોમાં સનાતન હિન્દુ ધર્મને યોગ્ય દોરવણી પુષ્ટિમાર્ગ આપી શકે છે. કારણ કે પુષ્ટિમાર્ગ જ્ઞાતિવાદથી જોજનો દૂર છે. તમામ જ્ઞાતિઓ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરી શકે છે એવો સરળ પુષ્ટિમાર્ગ છે.
આજના સમયમાં परस्परं भावयन्तः श्रेयः परम वाप्स्यथ (એકબીજાના સાથ-સહકારથી તમામનું કલ્યાણ)ના શ્રીકૃષ્ણના વચનને ધ્યાનમાં રાખીશું તો જ સંપ્રદાયની ગરિમા જળવાશે અને સનાતન હિન્દુ ધર્મની રક્ષા પણ કરી શકાશે.
આવા દિવ્ય, ક્રાંતિકારી સંપ્રદાયને હવે એકજુટ કરવાનો સમય પાકી ગયો છે. સૌથી પહેલો સુમેળ આચાર્યશ્રીઓ-આચાર્યશ્રીઓ વચ્ચે કરવો પડશે. ત્યારબાદ સંપ્રદાયની વિવિધ સંસ્થાઓ માટે એક Federation બનાવવું પડશે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ Federationની ભૂમિકા ભજવી શકે. કારણ કે સંપ્રદાય ઉપર ભૂતકાળમાં જયારે જયારે આક્રમણો થયા છે ત્યારે ત્યારે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના માધ્યમથી સંપ્રદાયના વિદ્વાનો અને શાસ્ત્રીજીઓએ સંપ્રદાયના સિદ્ધાંતોની રક્ષા કરી છે.
આવા એક umbrella organization તરીકે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ કાર્ય કરી શકે. આ માટે સર્વે આચાર્યશ્રીઓએ સાથે મળીને umbrella organizationની ભૂમિકા શું હોઈ શકે તે અંગે ચર્ચા-વિચારણા કરીને યોગ્ય માર્ગદર્શિકા બનાવીને તેના ઉપર કાર્યરત થઇ શકાય. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ આવા Federationની ભૂમિકા ભજવવા અને તે રીતે આચાર્યશ્રીઓ અને વૈષ્ણવોમાં એકતા અને તેઓ વચ્ચે પરસ્પર સૌહાર્દ કેળવાય તેવું વાતાવરણ ઉભું કરવા તૈયાર છે.
ટામેટા, બીટ, ગાજર, આંબળા, કોથમીર આ સૌને મિક્ષ્ચરમાં બ્લેન્ડ કરીએ તો એક સૂપ બને અને તે સૂપનો પોતાનો એક વિશિષ્ટ સ્વાદ આવે અને તેમાં જે વસ્તુઓનો સમાવેશ થયો છે તેનો વ્યક્તિગત સ્વાદ મળતો નથી. આવી એકતા ક્યારેય લાંબી ટકતી નથી કારણ કે તેમાં સૌએ પોતપોતાની ઓળખ ગુમાવવી પડે છે.
આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ પુષ્ટિમાર્ગની કોઈપણ સંસ્થા પોતાની ઓળખ ગુમાવે અને ત્યારબાદ સંપ્રદાયમાં એકતા થાય તેની તરફેણ કરતી નથી.
પુષ્ટિ સંપ્રદાયનું પ્રત્યેક સંગઠન પોતપોતાની આગવી ઓળખ જાળવી રાખે અને પોતાની રીતે કાર્ય કરવા સ્વતંત્ર રહે પરંતુ વર્ષમાં ચાર થી પાંચ મુખ્ય ઉત્સવો તમામ સંગઠનો સંયુક્ત રીતે ઉજવે. જેમ સલાડની ડીશમાં ગાજર હોય, મૂળો હોય, બીટ હોય, કાકડી હોય – પરંતુ તે બધા ટુકડા ઉપર મીઠું-મરી છાંટીને દરેકના આગવા સ્વાદ સાથે આપણે સલાડને ખાઈએ છીએ તેવી જ રીતે આપણે સૌ એકત્રિત થઈએ – સૌ પોતપોતાની આગવી ઓળખ જાળવી રાખે અને આવી આગવી ઓળખ જાળવી રાખીને પણ મોટા ઉત્સવો સંયુક્ત રીતે ઉજવતા થઈએ.
આવું કરવાથી સંગઠન મજબુત થશે અને “ગુરુ-વૈષ્ણવ” વચ્ચે જે ખાઈ પડી રહી છે – “ગુરુ-ગુરુ” વચ્ચે જે અંતર પડી રહ્યું છે અને “વૈષ્ણવ-વૈષ્ણવ” વચ્ચે જે તિરાડ પડી છે તે પુરાશે અને સંપ્રદાય એક થઈને વિશ્વ સમક્ષ તેની દિવ્ય તેજસ્વી આભા ઉભી કરી શકશે.
ચાલો..!!!
संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् l
આપણે સૌ કદમ થી કદમ મિલાવીને સાથે ચાલીએ. આપણે સૌ એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલીએ. આપણા સૌના મન એક થાય.
समानो मंत्र: समिति समानी समानं व्रतं सहचित्तमेषाम |
समानं मन्त्रभि मंत्रये व: समानेन वो हविषा जुहोमि ||
આપણા સૌના વિચાર એક થાઓ. આપણા સૌનું લક્ષ્ય એક થાય અને તેને પ્રાપ્ત કરવા માટે વિચારોમાં પણ એકતા અને સુમેળ આવે. આપણો સંપ્રદાય બધા માટે સમાન હોય. કોઈની સાથે પક્ષપાત ન થાય અને બધાને યોગ્ય સન્માન પ્રાપ્ત થાય. આપણા બધાનો સંકલ્પ એક સરખો હોય. આપણા બધાનું ચિત્ત શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતોમાં એક સમાન ભાવથી ભરેલું હોય. એક વિચારથી દરેક કાર્ય મન લગાવીને કરીએ.
समानी व आकूति: समाना हृदयानि व: |
समानमस्तु वो मनो यथा व: सुसहासति ||
હે વૈષ્ણવો..!! આપણા સૌના વિચાર એકસમાન હોય. આપણા સૌના હૃદય એકસમાન હોય. આપણા સૌના મનન-ચિંતન એકસમાન હોય. કે જેથી આપણે સૌ એક સાથે સુમેળપૂર્વક એક ચિંતન, એક ભાવના તથા એક સંકલ્પ સાથે રહી શકીએ.
હજુ મોડું થયું નથી. ચાલો આજે શ્રીવલ્લભચાર્યજીના ૫૪૬મા પ્રાગટ્ય દિવસે આપણે સૌ આત્મ નિરીક્ષણ કરીને પ્રતિજ્ઞા લઈએ કે શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંત પક્ષને મજબૂત કરીએ, સિદ્ધાંત પક્ષને સમજવા માટે સંપ્રદાયના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરીએ, સંપ્રદાય વિકૃત રીતે રજુ થતો હોય તેવી જગ્યાઓ ઉપર જવાનું ટાળીએ અને જ્યાં સંપ્રદાયના સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય થતું હોય ત્યાં સંગઠિત થઈને તેને થતું રોકીએ. આટલું જ જો આપણે સૌ કરી શકીશું તો આપણે આજે સાચા અર્થમાં શ્રી મહાપ્રભુજીનો ૫૪૬મો પ્રાગટ્યોત્સવ ઉજવ્યો ગણાશે.
श्रीमन नारायण नारद वेद व्यास विष्णुस्वामी-संप्रदाय समुद्धार
संभृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वाम्नाय सन्चार
वैष्णवामनाय प्राचुर्यप्रकार श्री बिल्वमंगालाचार्य साम्प्रदायी कार्पित
साम्राज्य सनाखंड भूमंडलाचार्य वर्या: जगदगुरु महाप्रभु:
श्रीमद आचार्य चरणा: विजयन्ते विजयन्ते विजयन्ते !

Address

Rajmahal Road
Vadodara
390001

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Antarrashtriya Pushtimargiya Vaishnav Parishad - Gujarat Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Antarrashtriya Pushtimargiya Vaishnav Parishad - Gujarat Pradesh:

Share