1 ) ચંદ્રુમાણા (ચંદ્રભાણ) ગામ તથા શ્રી ગૌરી માતાજી નો ઇતિહાસ....
ચંદ્રુમાણા ગામનો તથા વ્યાસ બ્રાહ્મણો ઇતિહાસ ઘણો રસપ્રદ અને ગૌરવવંતો છે. વિક્રમ સંવત ૯ર૪ને કારતક સુદ પુનમ ને ગુરૂવાર કૃતિકા નક્ષત્રમાં રાજા મુળરાજ સોલંકીએ સિઘ્ઘપુર (શ્રી સ્થળ) જી. પાટણમાં સરસ્વતી નદીના કીનારે રૂદ્રમહાલયની સ્થાપના કરવા માટે ઉત્તર દિશામાંથી ૧૦૩૭ વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણોને તેડાવેલા જેથી તે તમામ બ્રાહ્મણો ઔદિચ્ય સ
હસ્ત્ર બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. ત્યારબાદ રૂદ્રમહાલયની સ્થાપના વિઘિ સંપૂર્ણ થયા બાદ બ્રાહ્મણો ને રાજા મૂળરાજ સોલંકીએ ૧૭૧ ગામો ભેટ (દાન) માં આપવામાં આવેલા હતા. તે પૈકી એક ગામ ચંદ્રભાણ (ચંદ્રુમાણા) બે બ્રાહ્મણોને ભેટમાં તામ્રપત્રે લેખ લખી આપેલ તે સમયાંતરે ચંદ્રુમાણા ગામ તરીકે ઓળખાવા લાગ્યુ. ચંદ્રભાણ નો અર્થ ચંદ્ર અને ભાણ એટલે સૂર્યનો વિશાળ અર્થ થાય છે. આમ સૂર્ય, ચંદ્રની સાક્ષીએ બ્રાહ્મણોને આ ગામ દાનમાં મળેલ. તે સમયે આ ગામમાં મોર, બલાત, વેરાત, અને મદાત પટેલો પણ હતા. આજે પણ કચ્છ, કાઠીયાવાડ તથા સમ્રગ રાજ્યમાંથી પાટીદાર પરીવારો માતાજીના દર્શનાર્થે પધારે છે. તે તમામની કુળદેવી શ્રી ગૌરી માતાજી છે. ત્યારબાદ મુસ્લીમ શાસન ઇ.સ.૧૪૦૭ આવતાં ચંદ્રુમાણા ગામ કાજીઓના વહીવટમાં મુકાતાં બ્રાહ્મણો પાસે કરવેરાની માંગણી કરતાં સંઘર્ષ થયેલો અને ધણા વર્ષો સુધી બ્રાહ્મણો બાજુમાં આવેલા ગોવના ગામમાં રહી બહારવટુ ખેલી ખેલી મુસ્લીમો સામે જંગ કરેલ આખરે મુસ્લીમો સાથે સમાધાન થતાં એક બ્રાહ્મણ તે ભોટુરામ વ્યાસ ગામમાં પરત રહેવા આવ્યા. જ્યારે તેમના સગા ભાઇ કાર્તિકીય વ્યાસ સમાધાનમાં સમંત થયેલ નહી અને ઘોડો લઇ ને ચાલી નીકળેલ અને તેઓ સૌરાષ્ટ્રમાં સ્થિર થયેલા તેમના પરિવાર અત્યારે સમ્રગ ભારતમાંથી દર્શનાર્થે આવે છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વ્યાસકૂળના પૂર્વજોએ હિન્દુધર્મ, ગાયો અને બહેન-દીકરીઓની રક્ષા કાજે બલીદાન આપેલ છે. તેમના પાળીયા આજે પણ મહેસાણા ખાતે ભયા વ્યાસ સૌરાષ્ટ્રમાં ખંડેરા જિ. જામનગરમાં સોમેશ્વર વ્યાસ, પીઠડ જિ. જામનગરમાં આત્મારામદાદા, ઓઢવ, તા. કડીમાં ચકા વ્યાસ, આમ અનેક જગ્યાએ તેમની ખાંભીઓ (પાળીયા) પુજાય છે.
ગૌતમ ગોત્રી વ્યાસ પરિવાર જે પ્રમાણે કર્મ કર્યા તે પ્રમાણે ભટ્ટ, ત્રિવેદી, પંડ્યા, શુક્લ, પાઠક, જોષી વગેરે પેટા અટકથી પણ ઓળખાય છે.
ચંદ્રુમાણીયા વ્યાસની કુળદેવી શ્રી ગૌરી માતાજી, ગૌત્ર-ગૌત્તમ, ઇષ્ટદેવ- દૂધેશ્વર મહાદેવ, મહાકાલ ભૈરવ, બહુરૂપ ગણપતિ, મધ્યાંદીની શાખા, યર્જુવેદ, ત્રિપ્રવર ( ગૌત્તમ, અંગીરશ, આયશ્ય ) તથા વિષ્ણુશર્મ છે.
ચંદ્રુમાણા ગામમાં વર્ષો જુનુ શિવાલય આવેલુ છે. તે શિવાલય કેટલા વર્ષો જુનુ છે. તેનો કોઇ જ આધાર મળી આવતો નથી જે દૂધેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. તે શિવાલયમાં શ્રી ગૌરી માતાજીની એક અતિ પ્રાચિન મૂર્તિ શ્યામ આરસની આવેલ છે. જે મૂર્તિના ચરણ નીચે એક લેખ લખાયેલ છે. કે ‘‘ સવંત ૧૩૭૦ ને આસોસુદ બીજ ને ગુરૂવારે રાજપૂત્ર દિનાકીનશ્વિય ના પૂણ્ય અર્થે મૂર્તિ ની રચના કરી ’’ આમ આ મૂર્તિ પ્રાચીન છે. તેનાથી પણ અતિ પ્રાચીન મૂર્તિ શિવાલયમાં આવેલ છે. જે સફેદ આરસની છે. તેને વિધર્મીઓએ ખંડિત કરેલ છે. પરંતુ તે કેટલી પ્રાચીન છે તેના કોઇ પુરાવા મળેલ નથી. પાટણની પ્રચલિત ‘‘ રાણકી વાવ ’’ માં પણ શ્રી ગૌરી માતાજી ( મહિષાસુર મર્દિની) ની મૂર્તિના દર્શન થાય છે.
શ્રી ગૌરી માતાજી ના સાનિધ્યમાં આવેલ તળાવ હાલમાં દેવી તળાવ તરીકે ઓળખાય છે. જ્યા વિક્રમ સવંત ર૦૦૭ પહેલા ઇંટોના રોડા પડેલા હતા જેથી લોકો ‘‘ રૂવડમાતા ’’ તરીકે ઓળખતા અને પૂજન કરતા હતા. વિક્રમ સવંત ર૦૦૭ માં માતાજીનાં આદ્ય પુજારી શ્રી રામકૃષ્ણ દવેજી ને સ્વપ્ન દ્વારા શ્રી ગૌરી માતાજી નો સંકેત મળતાં ત્યાં ગામનાં કંદોરીયાઓ એ શુભ મુહુર્ત જોવડાવીને સવંત ર૦૧૧ ને વૈશાખ સુદ આઠમ ને શુક્રવારના દિવસે ખોદકામ કરતાં એક પ્રાચીન પત્થરનો પાયો મળી આવેલ જે સાડા ચાર ફુટના માપનો હતો. પત્થરના પાયા ઉપર જ મંદિર બનાવી ત્યાં નવીન આરસની હાલની મૂર્તિ લાવી પ્રાણપ્રતિષ્ઠા કરી. ત્યારબાદ જેમજેમ માતાજીની જાગૃતિ આવતી જઇ તેમ તેમ સમ્રગ ભારત એટલે કચ્છ, કાઠીયાવાડ, મધ્યગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ, પશ્વિમબંગાળ વિગેરે સ્થળોમાંથી માં ગૌરીના અસંખ્ય કંદોરીયા દર્શનાર્થે આવતા થયેલા છે.
છેલ્લે માતાજીની ખૂબ જ મોટી સંખ્યામાં તેના કંદોરીયા આવતા થયા ભવ્ય મંદિર બનવાની ભાવના પ્રગટ થતા આજનું આ ભવ્ય મંદિર બનાવી સંવત ર૦૬૦ ને વૈશાખ સુદ અગીયારસ ને શનિવાર તા. ૦૧-૦૫-ર૦૦૪ ના રોજ શ્રી ગૌરી માતાજીની ભવ્ય પુન:પ્રાણ પ્રતિષ્ઠા માતાજીના તે જ સ્થાન ઉપર માતાજીની રજા લઇ કરવામાં આવેલ છે.
હજુ પણ પટેલ ભાઇઓના અને બારોટોના ચોપડે એવા આધાર છે કે શ્રી ગૌરી માતાજીની ભવ્ય વાવ અને માતાજીની સોનાની મૂર્તિ જમીનમાં દટાયેલ છે. અગાઉ દેવી તળાવના ખોદકામ કરતાં અનેક જુની અને આખી ને આખી ઇંટોની દિવાલ મળી આવેલ જે તેના પ્રતેક્ષ્ય પુરાવા છે. પરંતુ કોઇ નક્કર જગ્યા નક્કી થતી નથી જે મા ગૌરી ની કૃપાને આધિન છે. આ સિવાય પણ અનન્ય ગૌરવવંતો ઇતિહાસ જમીનમાં ધરબાયેલ છે.
~સંપાદક - જનકભાઈ બી.વ્યાસ (ચંદ્રુમાણા)