06/03/2026
https://youtu.be/XWNp4EE06K8
જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર ધર્મદુલારો...
નીલકંઠ વર્ણીએ લોજમાં પધારી પોતાના વનવિચરણની સમાપ્તિ કરી. તે સમયે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ સંભાળતા હતા. મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના મોટેરા શિષ્યોએ એવો નિરધાર કરી રાખ્યો હતો કે જો કોઈ પોતાની હથેળીમાં લક્ષ્મીનાં ઝાંઝર દેખાડે તો પણ કેવળ રામાનંદ સ્વામીને જ ભગવાન માનવા. મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીની સિદ્ધ દશા જોઈને પ્રતાપી પુરુષ જણાયા ખરા પરંતુ તેમનો યથાર્થ મહિમા અત્રે સમજી શક્યા નહોતા. બાદ નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી દ્વારા દિક્ષા લઈણે નારાયણમુનિ અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યાં અને રામાનંદ સ્વામીએ ધર્મધુરા નવા અને નાના સહજાનંદ સ્વામીને સોંપીને સ્વધામ પધારી ગયા.
મુક્તાનંદ સ્વામી અને અન્ય હરિભક્તોએ સહજાનંદ સ્વામીને વધાવી લીધા, પણ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી પ્રત્યે ગાઢ સ્નેહ હોવાને કારણે રામાનંદ સ્વામીના જેવો ભાવ સહજાનંદ સ્વામી પ્રત્યે બેસતો નહોતો. તથાપી, મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની આજ્ઞા પાળવામાં તત્પર હતા. તેથી મહારાજે તેમને આજ્ઞા કરી કે કચ્છના હરિભક્તોને રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યાથી દુઃખ થયું હશે માટે આશ્વાસન આપવા ત્યાં વિચરણ કરવા જાવ. આજ્ઞા શિરે ચઢાવી મુક્તાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરતા હતા.
મહારાજ સૌને સમાધિ કરાવે છે અને દર્શનમાત્રે અનંત ભક્તોના નાડીપ્રાણ ખેંચાઈ જાય છે તેવી વાત કચ્છમાં મુક્તાનંદ સ્વામીને કાને સાંભળવામાં આવી હતી. તેમને સમાધિની વાતમાં પ્રતીતિ આવી નહિ. તેમને સત્સંગ વિશે અતિશય લાગણી. તેથી તેમને મનમાં મંથન થવા લાગ્યું. તેમને સમાધિની વાત અશક્ય લાગી. સમાધિની વાત કરનારાની સમજણ કાચી છે એમ લાગ્યું. આટલાં વર્ષોથી હું સત્સંગમાં છું, પણ મેં આવી કોઈ વાત સાંભળી નથી. આવી સત્સંગ પ્રત્યેની આત્મબુદ્ધિથી પ્રેરાઈને તેઓ જ્યારે મહારાજ મેઘપુર આવ્યા, ત્યારે મહારાજને એકાંતમાં ઓરડીમાં લઈ જઈ ઠપકો આપવા લાગ્યા:
“મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી;
સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી.
તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય;”
[નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘ભક્તચિંતામણિ’ - પ્રકરણ ૪૯]
એમ ઘણો ઠપકો આપ્યો.
ત્યારે મહારાજે કહ્યું, “સહુ હરિભક્તો ભેગા મળીને રામાનંદ સ્વામીનું ભજન કરે છે. તે કરતાં કરતાં કેટલાકનાં નાડીપ્રાણ તણાઈ જાય છે અને સમાધિ થઈ જાય છે.”
પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના શિષ્ય સંતદાસને બોલાવ્યા. તેમની સામે દૃષ્ટિ કરી. તરત તેનાં નાડીપ્રાણ ખેંચાઈ ગયા. તેમને સમાધિ થઈ ગઈ. ત્યારે મહારાજે કહ્યું, “મુક્તાનંદ સ્વામી! તમો નાડીપરીક્ષા જાણો છો. માટે સંતદાસની હાથ-પગની નાડી જુઓ. ઊઠી શકે તો ઉઠાડી જુઓ.”
મુક્તાનંદ સ્વામીએ ઘણી રીતે નાડીપરીક્ષા કરી જોઈ, પણ સંતદાસ તો શબવત્ થઈ ગયા હતા.
થોડી વારે સંતદાસજી સમાધિમાંથી જાગ્યા. મહારાજે સંતદાસજીને કહ્યું, “સમાધિમાં જે દર્શન થયાં હોય તેની વાત કરો.”
સંતદાસજીએ કહ્યું, “સમાધિમાં અક્ષરધામમાં ગયો હતો. ત્યાં દિવ્ય સિંહાસન પર મહારાજને બિરાજમાન જોયા અને ત્યાં સેવામાં ઊભેલા ગુરુ રામાનંદ સ્વામીને સ્તુતિ કરતા જોયા. શિવ, બ્રહ્માદિક અનંત દેવો, ઋષિઓ અને અવતારોને મહારાજની એક પગે ઊભા રહી સ્તુતિ કરતા જોયા. પછી રામાનંદ સ્વામીએ મને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી? સાચી વાત ખોટી નહિ ઠરે. અંતે સૌને સાચી સમજાશે.”
મુક્તાનંદ સ્વામીએ આ બધું સાંભળ્યું પણ સંતોષ થયો નહિ. મનમાં શાંતિ વળી નહિ.
પછી મહારાજ અને સંતો કાલવાણી ગયા. કાલવાણીમાં મહારાજ સંતો-હરિભક્તો સાથે દૂર નાહવા ગયા. મુક્તાનંદ સ્વામી પર્વતભાઈની સાથે ખાખરાના વનમાં નજીકમાં દિશાએ ગયા. દિશાએ જઈને આવતા હતા, ત્યાં રામાનંદ સ્વામીનાં સાક્ષાત્ દર્શન થયાં. મુક્તાનંદ સ્વામીએ તુંબડું બાજુએ મૂકી દીધું. રામાનંદ સ્વામીને દંડવત્ પ્રણામ કર્યા. આંખમાં આંસુ આવી ગયાં. સજળ નેત્રે તેમણે બધી વાત રામાનંદ સ્વામીને કરી.
પછી રામાનંદ સ્વામીએ તેમને આશ્વાસન આપ્યું અને યાદ કરાવતાં કહ્યું, “મેં નહોતું કહ્યું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા તો હજી હવે આવશે! તે આ વર્ણી છે. અને મેં તો રૂની ગંજીમાંથી એક પૂણી કાંતી છે, હજી આખી ગંજી કાંતવાની બાકી છે. તેના કાંતનાર આ મહારાજ છે. તે આપણા સૌના ઇષ્ટદેવ છે.” એમ કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીનો સંશય ટળી ગયો. અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા. હૈયું હાથ ન રહ્યું. તેમણે તત્કાળ જ,
ભ્રમણા ભાંગી રે હો હૈયાની, વાત કેને નથી એ કહ્યાની,
વીતી હોય તે રે હો જાણે.
એ કીર્તન બનાવ્યું અને હસતા મુખે ગાતાં આવ્યા.
એટલે પર્વતભાઈએ તેમના મુખ પર આનંદ જોઈને પૂછ્યું, “સ્વામી! કાંઈ લાધ્યું? આટલા આનંદમાં કેમ જણાઓ છો?”
ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનાં થયેલાં દર્શન સંબંધી વાત કરી. પછી તો નાહી-ધોઈને ત્યાં વનમાંથી ફૂલો લઈ માળા કરી, ઉતારે આવ્યા. ઉપર લટકાવી રાખેલ રામાનંદ સ્વામીનો ગાદી, તકિયો ઉતરાવ્યો. રામાનંદ સ્વામીની પાદુકા ઉતારી, મહારાજ નાહીને ઉતારામાં દાખલ થયા ત્યારે પરાણે રામાનંદ સ્વામીની પાદુકા પહેરાવી અને મહારાજે ઘણી ના કહી છતાં ઉપાડીને રામાનંદ સ્વામીના આસને બેસાર્યા. ચંદન ચર્ચી, ફૂલની માળા પહેરાવી અને ‘જય સદ્ગુરુ સ્વામી’ એ આરતી બનાવી, ગાતાં ગાતાં મહારાજની આરતી ઉતારી. પછી પોતાને થયેલ રામાનંદ સ્વામીનાં સાક્ષાત્ દર્શનની વાત સભામાં કરી. મહારાજને સાષ્ટાંગ દંડવત્ કર્યા. મહારાજ પણ મુક્તાનંદ સ્વામી પર અતિશય પ્રસન્ન થયા.
આ. સં. ૧૮૫૯ના કાર્તિક સુદ દશમીનો એ દિવસ હતો. પછી તો મુક્તાનંદ સ્વામીના વચને અને સ્પર્શે પણ કેટલાય જીવોને સમાધિ થતી. મુક્તાનંદ સ્વામીની ભ્રાંતિ ટળી ગઈ અને તેમને મહારાજનું સ્વરૂપ ઓળખાયું.
નીલકંઠ વર્ણીએ લોજમાં પધારી પોતાના વનવિચરણની સમાપ્તિ કરી. તે સમયે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ સ....