12/04/2021
બહુચરાજી મંદિરમાં 13 થી 22 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, પણ પૂનમે સવારી નહીં નીકળે. કોરોનાને લઇ સતત બીજા વર્ષે સવારી શંખલપુર નહીં જાય, મંદિર પરિસરમાં જ ફેરવાશે
શક્તિ આરાધનામાં આસો માસમાં જગદંબાની કરાતી નવધા ભક્તિ જેટલું જ મહાત્મય ચૈત્રી નવરાત્રિનું પણ છે. તીર્થધામ બહુચરાજીમાં પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે તા.13 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. જોકે, કોરોનાની હાલની સ્થિતિને લઇ સતત બીજા વર્ષે માતાજીની પૂનમની રાત્રે નીકળતી સવારી શંખલપુર નહીં લઇ જવાય, માત્ર પરંપરા જાળવવા મંદિર પરિસરમાં ફેરવવા નિર્ણય કરાયો છે.
18 તારીખે શતચંડી યજ્ઞનું આયોજન બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારના જણાવ્યા મુજબ, ચૈત્રી નવરાત્રિ માટે જોવાયેલાં મુહૂર્ત મુજબ, ચૈત્ર સુદ એકમને મંગળવાર તા.13 એપ્રિલના રોજ સવારે 7-30 કલાકે ઘટ સ્થાપન વિધિ કરાશે. તે પહેલાં સોમવારે બપોરે 12 વાગે મંદિરની પ્રક્ષાલન વિધિ કરાશે. ચૈત્ર સુદ 6ને રવિવાર તા.18 એપ્રિલના રોજ સવારે 10 કલાકે શતચંડી યજ્ઞનો આરંભ થશે. જેની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ 8ને મંગળવાર તા.20 એપ્રિલના રોજ સાંજના 5 કલાકે થશે.
17 તારીખે પાલખી મંદિરમાં નીકળશે મંગળવારે રાત્રે 12 કલાકે માતાજીને પલ્લી નૈવેદ્ય ભરાશે. જ્યારે નવરાત્રિ જ્વારા ઉત્થાપન વિધિ ચૈત્ર સુદ 10ને ગુરુવાર તા.22 એપ્રિલના રોજ સવારે 7-30 કલાકે થશે.ચૈત્ર સુદ પૂનમને મંગળવાર તા.27 એપ્રિલે રાત્રે માતાજીની પાલખી (સવારી) નીકળશે નહીં. પરંતુ મંદિર પરિસરમાં પૂજારી દ્વારા પરંપરા પૂરી કરાશે. ઉલ્લેખનીય છે કે, ચૈત્રી અને આસો પૂનમે માતાજીની સવારી મૂળ સ્થાનક શંખલપુર લઇ જવાની પરંપરા છે.
Source Divya Bhaskar