25/10/2025
#મૂર્તિપૂજા #સનાતનધર્મ
|| સનાતન ધર્મમાં દેવ દર્શન, દેવ વંદન, પૂજાનું મહત્વ, પ્રભુદર્શનનું ફળ ||
|| મૂર્તિ ||
મૂર્તિ શું છે ? તે પ્રતીક છે. જે નિરાકાર છે, જેને જોઇ શકતા નથી અથવા સ્પર્શ કરી શકતા નથી, કે જેનું વર્ણન ન કરી શકાય, તે પરમ દિવ્યતાને જોવા અને સમજવા માટે તમને એક માધ્યમની જરૂર છે. અને તે એ મધ્યમ છે, જેને તમે એક મૂર્તિ કહો છો. ભગવાન મૂર્તિમાં રહેતા નથી, પરંતુ એક મૂર્તિ તમને ભગવાન તરફ નિર્દેશ કરે છે.
ઘાતુ, પથ્થર, દાંત, લાકડું, સિમેન્ટ, પ્લાસ્ટર ઓફ પેરીસ, કાચ, રેતી, પ્લાસ્ટિક કે માટી વગેરેનો ઉપયોગ કરી દેવ-દેવી વગેરેની બનાવવામાં આવેલી પ્રતિમાને મૂર્તિ કહેવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં સૌથી મહત્વના તેમ જ વિશ્વમાં સૌથી પ્રાચીન ગણાતા હિંદુ ધર્મના લોકોમાં મુર્તિ પૂજાનું ખુબ જ મહત્વ છે. હિંદુ ધર્મમાં, મૂર્તિ એટલે, ચિત્ર કે ધાતુ, પથ્થર, લાકડું, હાથીદાંત વગેરેની બનાવેલી શરીર પ્રતિમા, પૂતળું, બાવલું, જેવા શિલ્પ સ્વરૂપે, દૈવીઆત્માને વ્યક્ત કરતું (મૂર્ત) સ્વરૂપ. દૈવી ભક્તિમાર્ગમાં મૂર્તિ પૂજાના માધ્યમે ઈશ્વર સાથે વ્યક્તિગત પણે ઊંડો પ્રેમ સંબંધ જોડવાની લાગણી મધ્યસ્થ હોય છે. મૂર્તિને ઈશ્વરનું સ્વરૂપ માની ભક્ત તેની સેવાપૂજા કરે છે, સવારે મૂર્તિને જગાડે છે, સ્નાન, શણગાર, ભોજન, પ્રસાદ, આરતિ, શયન જેવી વિધિઓ દ્વારા મૂર્તિના માધ્યમે ઈશ્વર સાથેનો પોતાનો પ્રેમ સંબંધ અને ભક્તિભાવ વ્યક્ત કરવાનો આશય હોય છે
મૂર્તિની આવશ્યકતા સંબંધમાં ભગવદ્ગોમંડલમાં લખ્યા પ્રમાણે, વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે કે, અસલી વસ્તુ આપણી પાસે નથી, તો તેની પિછાણ માટે તેની આકૃતિ એક મોટું સાધન છે. સાધુની પિછાણ તેના ભેખથી થાય છે. જુદા જુદા પ્રાંતના લોકોને તેના પહેરવેશથી ઓળખી શકીએ છીએ. તે પ્રમાણે સાક્ષાત્ પરમાત્મા અહીં નથી અને મૂર્તિ તેની સાક્ષાત્ પ્રતિકૃતિ ન હોવા છતાં પણ શાસ્ત્રોમાં વર્ણવેલ તેમના રૂપ અનુસાર તેની મૂર્તિ બનાવી, તે મૂર્તિમાં તેમનો આરોપ કરીને એ મૂર્તિ અમારા પરમાત્મા સમાન છે અને આ મૂર્તિથી અમે વીતરાગ દશા પ્રાપ્ત કરી શકીએ છીએ એમ માનવું જોઈએ. પરમાત્માથી જેટલો ફાયદો છે તેટલો તેની મૂર્તિથી પણ છે.
|| મૂર્તિ પૂજા એક વૈજ્ઞાનિક ખોજ ||
વૈજ્ઞાનિક સત્ય છે કે દરેક કાર્યની સફળતા એકાગ્રતા પર નિર્ભર કરે છે. ધ્યાન કે એકાગ્રતા દ્વારા જ કોઇ કાર્યને સંપૂર્ણ શક્તિ અને સામર્થ્ય સાથે કરી શકાય છે. ધ્યાન અથવા એકાગ્રતા માટે કોઇ વિષય, કેન્દ્ર કે આકૃતિ હોવી આવશ્યક છે. ઈશ્વર સાથે જોડાવા માટે તો આનાથી પણ વધારે એકાગ્રતા કે ધ્યાનની આવશ્યકતા હોય છે.
માની શકાય કે ઈશ્વરનો કોઇ નિશ્વિત આકાર કે રૂપ નથી હોતું. પણ મનને નિરાકારમાં કેન્દ્રિત કરી શકાતું નથી. આપણે પરમાત્માના કોઇ નામને લિપિ અનુસાર અક્ષરોમાં કેન્દ્રિત કરી શકીએ છીએ કે કોઇ મૂર્તિમાં તેનું આરોપણ ચોક્કસ કરી શકીએ છીએ. વૈદિક કાળમાં જ્યારે કોઇ મૂર્તિ કે મંદિર ન હતા ત્યારે અગ્નિ પ્રગટાવી તેમાં હવન સામગ્રી નાખી કોઇ દેવતાના નામનું આહ્વાન કરવામાં આવતું હતું. ત્યારબાદ ઉપનિષદોના જાણકાર યજ્ઞની પ્રક્રિયા છોડીને ઓમ્ અક્ષર પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા.
એક સમયે ભગવાન મહાવીરની મૂર્તિઓને અત્યંત જન સમર્થન મળવાને લીધે વિભિન્ન સંપ્રદાયોએ મૂર્તિ પૂજાને આધાર બનાવ્યો. મંદિર, મસ્જિદ કે ચર્ચનું નિર્માણ પણ મૂર્તિમાં રાખવામાં આવેલો વિશ્વાસ જ છે. વૈદિક આર્યો તો મંદિરનું નિર્માણ પણ કરતા ન હતા.
ભક્ત મંદિરમાં જાય છે. ભગવાનની મૂર્તિને દૂધ, ફૂલહાર ચડાવે છે, અને બે હાથ જોડીને તેની પૂજા યાચના કરી ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માનીને પોતાની ઈચ્છા મુજબનું વર તેની પાસેથી માગે છે, ભગવાનની સુંદર મૂર્તિને આપણે પૂજા-પઠ કરીએ, તેને જોઈને આપણા દુઃખ દૂર કરનાર કોઈ ચેતન અસ્તિત્વ ધરાવે છે. તેવી મનમાં અનુભૂતિ થાય, આપણને જીવનના પડકારો સામે લડવાની હિંમત મળે તો તે મૂર્તિમાં ભગવાન છે કે તે માત્ર પથ્થરની છે. એ બાબતનું કોઈ મહત્વ ખરૂં ? આપણે કશું પ્રાપ્ત કરવું હોય તો માધ્યમ તો બનાવવું જ પડે, અને જો સાકાર મૂર્તિને માધ્યમ બનાવી નિરાકાર ઈશ્વર પસે જવાતું હોય તો તેમાં ખોટું શું છે ? ટુંકમાં જો ઇશ્વર નિરાકાર હોય તો પણ તેનું ધ્યાન ધરવા માટે આપણી સમક્ષ કશુંક તો સાકાર હોવું જોઈએ ને.
હક્કિતમાં ભગવાનની મૂર્તિને ભગવાનનું જ સ્વરૂપમાની પ્રતિક તરીકે ઉપયોગમાં લેવાતી મૂર્તિમાં ઈશ્વરની સાધના કરતા ભક્તની એક પ્રકારની ભાવના જ વ્યકત થાય છે. આ તત્વજ્ઞાન સમજાય જવાનું હોય શ્રીમદ્ ભાગવત્ માં છે. એકવાર ઉદધવજીએ કૃષ્ણઘેલી ગોપીઓને કૃષ્ણનો મોહ છોડવા અને તેના તાત્વીક સ્વરૂપનું પૂજન કરવા જણાવ્યું, પરંતુ ગોપીઓએ ઉદધવજીને જણાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં દરેક મનુષ્ય, પ્રાણી, પક્ષી, જીવનમાં વ્યાપેલ કૃષ્ણ અમારે જોઈતો નથી, અમને તો અમારી કૃષ્ણ જોઈએ છીએ, ઈશ્વર તાત્વીક અને નિરાકાર હોય તોપણ તેના પ્રતિક સમાન રહેલી મૂર્તિ ઈશ્વર અને આપણી વચ્ચે જોડતી કડી તો છે જ. આ રીતે ભગવાનના મંદિરમાં રહેલી મૂર્તિ એક મહાન શક્તિ છે પરંતુ આ મૂર્તિમાં જ ભગવાન છે અને માત્ર તેની પૂજા અર્ચના કરવામાં જ બધુ આવી જાય છે, તેના સિવાય મનુષ્યનું ચારિત્ર્ય, કર્મો વગેરેનું કોઈ મહત્વ નથી તે રીતે માત્ર આડંબરયુક્ત રીતે મૂર્તિની પૂજા કરવામાં આવે છે એ પણ ખોટું છે. હક્કિતમાં આ રીતની પૂજા તે મૂર્તિનું જ નહિ, ખુદ ભગવાનનું પણ અપમાન છે. જયારે બીજીબાજુ લોકોની ભાવનાને સમજયા વગર મૂર્તિને માત્ર એક પથ્થરમાંની તેનો વિરોધ કરવામાં પણ કોઈ બુધ્ધિમતા નથી.
ભગવાનની મુર્તિની પૂજા કે તેના નિરાકાર સ્વરૂપનું પુજન, બંને વસ્તુ માનસશાસ્ત્રીય છે. વ્યક્તિની ભાવના કેવી છે તે બાબત જ અગત્યની છે. એક મૂર્તિ ભગવાન માટે ભવસાગર તરવાનું માધ્યમ હોઈ શકે, એક કલાકાર માટે શિલ્પકળાનો નમૂનો પણ હોઇ શકે, ચિત્રકાર માટે ચિત્ર હોઈ શકે જયારે નાના બાળક માટે એક રમકડું પણ હોઈ શકે. આ મૂર્તિને શંકરાચાર્ય જેવી વિભૂતિએ ભગવાનનું સ્વરૂપ માની તેની પૂજા કરી છે, જયારે અલ્લાઉદીન ખીલજી જેવાએ તેનું ખંડન કરવામાં પણ કોઈ હિચકિચાટ અનુભવ્યો નથી.
|| ધાર્મિક મહત્વ ||
ભારતીય આધ્યાત્મિક જગતમાં સગુણ અને નિર્ગુણ , આ બે સ્વરુપે ભગવાનની ઉપાસના થાય છે. શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારની પૂજા બતાવી છે:
(૧) સ્મરણપૂજા
એકાંતમાં શાંત જગ્યાએ બેસી પરમાત્માનું સ્મરણ કરવું, તેની માળા ફેરવવી તે સ્મરણપૂજા.
(૨) દર્શનપૂજા
જેનું સ્મરણ કરીએ છીએ, તેનાં દર્શનની ઈચ્છા થાય છે. સાક્ષાત્ પરમાત્માનું દર્શન થવું તો દુર્લભ છે, તેથી તેની મૂર્તિનાં દર્શનથી આપણે પ્રસન્ન થઈએ છીએ.
(૩) સ્પર્શનપૂજા
દર્શન પછી તે વસ્તુ ઉપર વધારે પ્રેમ જાગ્રત થાય તો તેને ભેટવાની ઈચ્છા થાય છે. તેને ભેટીને આપણે તલ્લીન થઈ જઈએ છીએ. આ સ્પર્શનપૂજા છે.
(વેદાંત સાહિત્ય, શ્રુતિમાં એક શ્લોક)
જ્યારે કોઇ વ્યક્તિ પૂછે ભગવાન ક્યાં છે, ત્યારે જ્ઞાનીઓ આ શ્લોક કહી ઉત્તર આપે છે. જેનો અર્થ એ થાય છે કે 'મનુષ્ય માટે પ્રેમ સ્વયં ભગવાન છે; બુદ્ધિશાળી લોકો દિવ્ય ગુણો અને દિવ્ય શક્તિઓ માં ભગવાનને જુએ છે; ઓછા બુદ્ધિશાળી લોકો લાકડા અથવા પથ્થર મૂર્તિ માં ભગવાનને જુએ છે; પરંતુ જ્ઞાનીઓ પોતાના આત્મામાં ભગવાન ને જુએ છે '.
|| પ્રભુદર્શનનું ફળ ||
* દેરાસર દર્શન કરવા જવાનો વિચારમાત્ર કરવાથી ૧ ઉપવાસનું ફળ મળે છે.
* દેરાસર જવા માટે ઊભા થતા છઠ્ઠ (ર ઉપવાસ)નું ફળ મળે છે.
* પગ ઉપાડતા અઠ્ઠમનું (૩ ઉપવાસ)નું.
* આગળ વધતાં ૪ ઉપવાસનું.
* અડધે રસ્તે પહોંચતા ૧પ ઉપવાસનું.
* જિનાલય નજરે પડતા માસક્ષમણનો લાભ મળે છે.
* દેરાસર પાસે આવતા છ મહિનાના ઉપવાસનું ફળ મળે છે.
* ભગવાનના ગભારા પાસે આવતા વરસી તપનું ફળ.
* પ્રદક્ષિણા આપતાં, ૧૦૦ વર્ષના ઉપવાસનું ફળ.
* પ્રભુજીની પૂજા કરવાથી ૧૦૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ.
* જિનબિંબને પ્રમાર્જન કરતા ૧૦૦૦ ના ૧૦૦ ગણા ઉપવાસનું ફળ.
* જિનબિંબને વિલેપન કરતા ૧૦૦૦ના લાખ ગણા ઉપવાસનું ફળ.
* જિનબિંબને પુષ્પમાળા ચડાવતાં અનંત લાખ ગણાં ઉપવાસનું ફળ મળે છે.
* ભગવાનની પૂજા ઉત્કૃષ્ટ ભાવ સાથે કરવાથી અનંતાનંત ઉપવાસનું ફળ મળે છે.
અને ભવાંતરે મોક્ષ પ્રાપ્ત થાય છે.