07/02/2023
દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ સ્ત્રી અથવા પુરુષનું બલિદાન છુપાયેલું હોય છે. માણસ ત્યારે જ પોતાના કાર્યમાં સફળ બને છે જ્યારે તેની પાસે પોતાનું કોઈક એવું વ્યક્તિ હોય જે તેને તેના દરેક કાર્યમાં સાથ સહકાર આપે....
આપણા બાબાસાહેબની સાથે પણ આવું જ કાઈક બન્યું હતું. આપણે બધા બાબાસાહેબને આજે આટલું બધું માનીએ છીએ, એમના ચીંધેલા માર્ગ પર ચાલી રહ્યા છીએ, પણ બાબાસાહેબના સંઘર્ષના દિવસોમાં જો માતા રમાબાઈએ તેમને સાથ ન આપ્યો હોત તો બાબાસાહેબ ઘર-પરિવારમાં જ ઉલજીને રહી ગયા હોત. પણ માતા રમાબાઈ બાબાસાહેબની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલ્યા હતા...
માતા રામાબાઈના જ્યારે લગ્ન થયા ત્યારે તેઓ ફક્ત આઠ જ વર્ષના હતા, અને ખાસ વાત તો એ છે કે રમાબાઈ સાવ નિરક્ષર હતા અને સામે બાબાસાહેબ આટલા પ્રખર જ્ઞાની પરંતુ બાબાસાહેબ પણ હિંમત હાર્યા વગર જ્યોતિરાવ ફુલેની માફક જ જ્યારે જ્યારે સમય મળે ત્યારે માતા રમાબાઈને ભણાવતા હતા, વધારે તો નહીં પરંતુ સહી કરી શકે અને થોડું ઘણું વાંચી શકે એટલા કાબિલ તો કર્યા જ હતા..
એક તરફ બાબા સાહેબ પોતાના ભણતરમાં, નોકરીમાં, સમાજના કાર્યમાં લાગેલા હતા ત્યાં બીજી તરફ રમાબાઈએ પણ પુરા ઘરની જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી હતી. વિચારો તો ખરા કે આપણું પોતાનું કોઈક સ્વજન જ્યારે આપણને છોડીને ચાલ્યુ જાય છે ત્યારે કેવો આઘાત લાગે છે ? તો રમાબાઈએ તો પોતાના ચાર-ચાર સંતાનો ગુમાવ્યા હતા, અને એ સમયે તો બાબાસાહેબ પણ તેમની પાસે ના હતા. હવે આવા કપરા સમયમાં પોતાની જાતને સંભાળવું એ જેવા તેવા લોકોનુ કામ નથી, ઘણી હિંમત જોઈએ...
માતા રમાબાઈએ બાબાસાહેબને તેમના ઘણાં સામાજિક કાર્યમાં સાથ-સહકાર આપ્યો. બાબાસાહેબે આપણા માટે જે-જે કાર્ય કર્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક માતા રમાબાઈનો સિંહ ફાળો છુપાયેલો છે, કારણ કે જ્યારે તેમને બાબાસાહેબના કાર્યો વિશે ખબર પડી તો તેમણે ક્યારેય બાબાસાહેબને રોક્યા ના હતા, પરંતુ હિંમત આપી હતી, સાથ આપ્યો હતો અને અહીં સુધી કે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યારે પણ તેમણે બાબાસાહેબને ફક્ત એટલું જ કહ્યું કે " મારા સાત કરોડ અછૂત બાળકોનો ખ્યાલ રાખજો, હું તેઓને આપને સોંપીને જઈ રહી છું"
જેમણે ફક્ત આપણા લોકો માટે આટલું મોટું ત્યાગ અને બલિદાન આપ્યું આવા મહાન મહિલાને શત શત નમન....🙏