21/01/2026
આજનું ૨૧-૦૧-૨૦૨૬ મહા સુદ ૩ બુધવાર...
જય સ્વામિનારાયણ...
જુનાગઢના જોગી અને સમાધિનીષ્ઠ એવા સદગુરૂ શ્રી મહાપુરુષદાસ સ્વામી જ્યારે જૂનાગઢ હતા, ત્યારે સં. ૧૯૩૯ના ફાગણ માસમાં હાટીના માળિયાથી ઠા. દયાળભાઈના દીકરા કેશવજી ભગતને વૈરાગ્ય થતાં તેઓ સાધુ થવા જૂનાગઢ મંદિરે આવ્યા અને સાધુ રામસુખદાસજીને કહ્યું કે, ‘‘મારે સાધુ થાવું છે.’’
રામસુખદાસજીસ્વામીએ તે વાત મહાપુરુષદાસ સ્વામીને કહી કે ‘‘સ્વામી, આ મુમુક્ષુ ભગત વૈરાગ્ય થતા સાધુ થવા આવ્યા છે.’’ એમ કહી કેશવજીને બતાવ્યા. ત્યારે મહાપુરુષદાસ સ્વામીએ તેના મોઢા સામું જોઈને તેને કાંડું ઝાલીને ધર્મશાળાના ત્રીજે માળે એક કોરે તેડી જઈને કહ્યું કે, ‘‘તું મારા ભેળો રહીશ ?’’ ત્યારે તેણે હા પાડી. ત્યારે સ્વામી કહે કે, ‘‘તું જો મારા ભેળો રહીશ તો હું તને અક્ષરધામમાં મારા આસન પાસે બેસાડીશ.’’ એમ કહી કેશવજીના જમણા હાથમાં કોલ આપ્યો.
પછી એ કેશવજીભગતને સ્વામી ખારાપાટમાં લઈને દેશમાં ફરવા ગયા. ત્યાં તેના પિતા આવીને ઘેર તેડી ગયા. તે પછી ત્રણ-ચાર મહિને તે ભગત ઘેરથી ભાગીને ગઢડે ગયા. ત્યાં દર્શન કરી કુંકાવાવ ગામે સ્વામી ભેળા થયા તે ત્યાં દેશમાં સ્વામી સાથે ફર્યા. ત્યાંથી બીજે વરસે ગોંડળ દેશ ફર્યા. એમ બે વરસ ઉપાધિ રહી ને પછી સ્વામી સાથે ગામ ભીંછરીના મંદિરમાં આવ્યા. ત્યાં રાત્રે આરતી, ધૂન, કથા-વાર્તા, નિત્ય-નિયમ કરી સ્વામી સૂતા હતા અને કેશવજી ભગત સ્વામીના પગ દાબતા હતા, તે વખતે સ્વામીએ વાત કરી જે, ‘‘મહારાજ જ્યારે નાના હતા ત્યારે હું છપૈયે તેનું નામ પાડવા ગયો હતો. તે બાળમૂર્તિના દર્શન મને હજી થાય છે.’’
ત્યારે ચરણચંપી કરી રહેલા કેશવજીભગતે કહ્યું કે, ‘‘ગામ છપૈયામાં બાળપ્રભુ ઘનશ્યામ મહારાજનું નામ પાડવા તો માર્કન્ડેય ઋષિ આવ્યા હતા એમ આપણા શાસ્ત્રમાં છે.’’ ત્યારે સ્વામી કહે કે, ‘‘એ જ હું પોતે ઋષિ છું.’’ એટલી વાત કરીને સ્વામી સૂઈ ગયા.
સવાર થતાં સ્વામીએ કેશવજીને વાત કરી કે, ‘‘આજ રાત્રે મને ગોપાળાનંદ સ્વામીના દર્શન થયાં અને તેમણે મને કહ્યું કે, ‘‘તમે ગઢડા જાવ અને તમારા ભેગા ભગત છે તેને ત્યાં સાધુ કરશે ને તમારી સેવા જે કૃષ્ણદાસજી કરે છે, તેમને અમે દિવાળી પછી ધામમાં તેડી જાશું અને આ ભગત જે સાધુ થાશે તે તમારી સેવા કરશે.’’ ત્યાર પછી સ્વામી પોતાના મંડળ સાથે ગઢડે જળઝીલણીના સમૈયા ઉપર ગયા ને ત્યાં વિહારીલાલજી મહારાજ પધાર્યા હતા. તે સમૈયા અને સર્વે સંતો અને આચાર્ય મહારાજશ્રીના સહુએ દર્શન કર્યાં. તેમના ઉપર જૂનાગઢથી કોઠારી મુકુંદચરણદાસજીનો કાગળ આવ્યો હતો કે, ત્યાં જોગી મહાપુરુષદાસજી સ્વામી આવ્યા છે તેના ભેળા ભગત છે તેની ઉપાધિ ટળી ગઈ છે તો તેને સાધુ કરી દેજો.’’ એ વાત આચાર્ય મહારાજે સ્વામીને કહી.
એમ, સંવત ૧૯૪૧ના ભાદરવા સુદ ૧૧ (જળઝીલણી) એકાદશીએ કેશવજી ભગતને વિહારીલાલજી મહારાજે દીક્ષા આપીને ‘રૂગનાથચરણદાસજી’ એવું નામ પાડયું. પછી સહુ સમૈયો કરીને ત્યાંથી રાજકોટ આવ્યા. ત્યાંથી અન્નકોટ ઉપર જૂનાગઢ આવ્યા. ત્યાં અન્નકોટ પછી થોડા દિવસ રહીને ચાલવા ટાણે રૂગનાથચરણદાસજીનું કાંડું ઝાલીને સ્વામી મહાપુરુષદાસજીએ મંદિર ઉપર જઈ શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે ઊભા રહીને કહ્યું કે, ‘‘જે સાધુ કૃષ્ણચરણદાસજી માંદા છે તેને ધામમાં તેડી જાજો ને આ સાધુ મારી સેવામાં રહેશે.’’ એમ કહી માંદા સાધુ પાસે એક સાધુને સેવામાં રાખીને ગાડાં જોડાવી જેતપુરના મંદિરમાં ગયા. ત્યાં વળતે દિવસે સ્વામી ધર્મસ્વરૂપદાસજીનું મંડળ આવ્યું તેણે સમાચાર દીધા કે ‘‘તમારા માંદા સાધુ છે તે તમને બહુ જ યાદ કરે છે.’’ એ સાંભળીને સ્વામીએ કહ્યું કે, ‘‘તે માંદા સાધુનો દેહ નહિ રહે.’’ એમ કહી તેની સેવા માટે સાધુ રામસુખદાસજી તથા સાધુ દામોદરદાસજીને જૂનાગઢથી બેલગાડી આવી હતી તેમાં મોકલ્યા. તે બંને સાધુએ જૂનાગઢમાં આવી માંદા સાધુને કહ્યું કે, ‘‘તમને સ્વામીએ ઝાઝા હેતથી જય સ્વામિનારાયણ કહ્યા છે અને કહ્યું છે કે, તમને આવતી કાલે મહારાજ ધામમાં તેડી જાશે. માટે ભજન કરજો.’’
પછી વળતે દિવસે જોગેશ્વરદાસજીને તેડાવ્યા.
ત્યારે તેમણે આવી માંદા સાધુના માથા ઉપર પોતાના બે હાથ મેલીને કહ્યું કે, ‘‘મહારાજની મૂર્તિ સામું જોઈ રાખજો.’’ એમ કહીને પોતે અંતકાળિયાં કીર્તન સદ્ગુરુ શ્રી દેવાનંદ સ્વામીના બનાવેલાં ગાવાં માંડ્યા કે,
અંતકાળે આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સહાય રે...
એ ચાર પદો ગાઈ સંભળાવી પોતાને આસને ગયા. ત્યાં તો તરત જ તે સાધુએ દેહ મેલી દીધો.
તેની ક્રિયા કરી વળતે દિવસે તે બેય સાધુઓ સ્વામી પાસે જેતપુર મંદિરમાં આવ્યા ને ત્યારથી નવા સાધુ રૂગનાથચરણદાસજીએ સ્વામીની સેવા રહ્યા. અને સ્વામીની અગિયાર વરસ સુધી મરજી સાચવી ખૂબ સેવા કરી રાજીપો બહુ જ મેળવ્યો.
- જુનાગઢના જોગી સદગુરૂ શ્રી મહાપુરૂષદાસ સ્વામીના જીવનપ્રસંગોમાંથી…
- અગાઉના ચરિત્રો માણવા સારુંઃ
https://shriharicharitra.com/