હે ભાઈઓ મારો જન્મ ઉત્તરપ્રદેશ અલમોડા જિલ્લામાં કાનદે નામના નાના સરખા ગામડામાં બ્રાહ્મણ કુળમાં થયો છે. મારા પિતાશ્રીનુ નામ દેવદત્ત અને માતૃશ્રીનુ નામ પાવૅતીજી હતું. મારા પિતાશ્રી અને માતૃશ્રીએ મને ભણાવવા માટે ઘણો પરિશ્રમ ઉઠાવ્યો હતો. પરતું મારૂ મન અભ્યાસમાં બિલકુલ લાગતું ન હતુ. છતા હિન્દી પાંચ તથા અંગ્રેજી પાંચ ચોપડીનો અભ્યાસ કર્યો ત્યારબાદ હું ઘરેથી નીકળી ગયો અને ફરતો ફરતો અલમોડા જિલ્લામાં આવ્યો ત
ે સમયમાં જર્મન-ફ્રાન્સની લડાઈ ચાલતી હતી. હું મિલેટરીમાં જોડાઈ ગયો. બાર માસ સુધી મિલેટરીમાં રહ્યો. ત્યારબાદ લડાઈ પુરી થઈ ગઈ અને લડાઈની શાંતિ થયા બાદ હું હિન્દુસ્તાનમાં આવ્યો અને પાછો મારા ગામે કાનદે ગયો.
તે સમયે મારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો તેથી મારા મોટાભાઈ પીતાત્બર પંડિતજી તથા મારા માતૃશ્રીએ મને ઘણો જ આગ્રહ કરીને મારા લગ્ન કરાવ્યા. ત્યારબાદ મારૂ મન ઘરમાં ન ચોટતા હું ઘરેથી નીકળી ગયો અને પાછો જિલ્લા અલમોડામાં આવ્યો. ત્યા મોટર ડ્રાઇવર નુ કામ શીખ્યો.
ત્યારબાદ હું હરદ્વારમાં આવ્યો ત્યાં ગંગાસ્નાન કરી પવિત્ર થયો. ત્યાથી પ્રયાગરાજ આવી ગયો. ત્યાં બે દિવશ મુકામ કરી હું નર્મદા કિનારે આવ્યો. તે વખતે મને પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થયો. મને રાત-દિવસનુ ભાન રહયુ નહિ. ત્યારબાદ મારૂ શરીર નરમ પડી ગયું. ત્યાંથી ફરતો ફરતો ખાંડવા ભુસાવલ થઈ સુરતમાં આવ્યો. ત્યાંથી અમદાવાદ આવ્યો.
અમદાવાદ આવ્યા બાદ જાતે દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છા થઈ. ત્યાંથી દ્વારકા તરફ જવા માટે નીકળ્યો. હું સુદામાપુરી આવ્યો. સુદામાપુરી આવ્યા બાદ મારૂં શરિર ઘણું જ નરમ પડી ગયું. જેથી ભગવાનની મારા ઉપર કૃપાદ્રષ્ટિ ઓછી છે એમ સમજી દ્વારકા તરફ ન જતા હું પાછો ફર્યો અને અમદાવાદ આવ્યો. ત્યાં વાડીગામમાં મને સંત શ્રી મનોહરદાસજીનું મિલન થયું.
તેઓએ મારા શરિરની ઘણી જ સારવાર કરી તેથી મારૂં શરિર તંદુરસ્ત બન્યું.
ત્યારબાદ ત્યાં રહીને હું રામાયણનો પાઠ કરતો હતો. તે વખતેમાં માઘવદાશજી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા અને દરરોજ મંદિરમાં દર્શન કરવા આવતા હતા અને કથા સાંભળતા પણ આવતા હતા. તેથી એકબીજાનો સત્સંગ થયો હતો. તે સમયમાં માધવદાસજી પંદર દિવશની રજા લઇ ઘરે ગયા. ત્યારબાદ વાડીગામમાંથી હું નીકળી સીધો શીકા રહેવું પડ્યું.
માધવદાસ પોતાની નોકરીની રજા પુરી થતા તે અમદાવાદ હાજર થયા. ત્યાં માધવદાસ મંદિરે દર્શન કરવા ગયા ત્યાં તેમને ખબર મળી કે મહારાજશ્રી શીકા ગયા છે. તેવા સમાચાર મળવાથી તેઓ નોકરીમાંથી રાજીનામુ મુકી તેઓ મારી પાસે શીકા આવ્યા અને મારી સાથે રહીને તેમણે મારી પાસેથી ઉપદેશ લીધો.
ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં બાયડ તાલુકા માં આવેલું ગામ વાત્રક છે. ત્યાં ધારેશ્વર મહાદેવના મંદિરમાં માધવદાસજીનું આગમન થયું. ત્યાં થોડો સમય રહ્યો. તે સમયે તેમણે અનાજ નો ત્યાગ કરેલો હતો. આ બાબતની જાણ આજુબાજુના ભક્તોજનોને ખબર થતાં તેઓે મહારાજ માધવદાસ પાસે જઇ અન્ન લેવા માટે વિનંતી કરી ત્યારે માધવદાસજી મહારાજે જણાવ્યું કે મહારાજ શ્રી અયોધ્યાદાસજી જે શીકામાં રહે છે તેઓશ્રી જો વાત્રક પધારશે તો હું અન્ન લઈશ. ત્યારે ભક્તોજનો શીકા આવ્યા અને આ બાબતની જાણ કરી ત્યારે હું શીકાથી ધારેશ્વર આવ્યો અને ત્યાં માધવદાજીને દીક્ષા મંત્ર આપી હું પાછો શીકાથી ગયો, ત્યારબાદ ધારેશ્વર મહાદેવથી માધવદાજી જાત્રા કરવા નીકળ્યો. ત્યારબાદ હું પણ શીકાથી જાત્રા કરવા માટે ઉપડ્યો. જાત્રા કરતાં કરતાં બંને એક વર્ષ બાદ ફરી બંને જણા અમદાવાદમાં ભેગા થયા.
ત્યારબાદ માધવદાસજી અમદાવાદથી નીકળી પોતાના વતન બ્રાહ્મણવામાં પોતાની જમીન જે હતી તે જમીન વેચી દઈને તેની જે રકમ હતી તે રકમ તેમની બહેન ને અર્પણ કરી તેઓશ્રી વાત્રક ધારેશ્વર મહાદેવના મંદિરમાં આવ્યા.
ત્યારબાદ સુંદરપુરા ગામ ના લોકો વાત્રક ધારેશ્વર મહાદેવના મંદિરમાંથી મહારાજશ્રીને સુંદરપુરા ગામમાં લાવ્યા. પછી માધવદાજી મહારાજ પોતે આવ્યા અને મને બહુ આગ્રહ કરી સુંદરપુરા ગામમાં લાવ્યા. ત્યારબાદ માધવદાજી અને હું અવારનવાર સત્સંગ કરતા. તે વખતે આત્મજ્ઞાન પ્રકાશનું પુસ્તક રચાયેલું.
સદગુરુ સંત અયોધ્યાદાસજી મહારાજ
શ્રી રામજી મંદિર,સુંદરપુરા