02/09/2026
જેના ભાગ્યમાં સદગુરુનો પ્રેમ મળ્યો છે. એ અતિશય ભાગ્યશાળી છે.સદગુરુ અને ઇશ્વરમાં કોઈ ભેદ નથી.સદગુરુ કરુણા અવતાર છે.સદગુરુ મળ્યા પછી એમની પાસે શું માગવું કે ન માગવું એ સાધકની સ્થિતિ પર આધાર રાખે છે.બાળકની પાસે સુંદર રમકડું મૂકો અને બીજી બાજુ સોનાનો 10 ગ્રામનો સિક્કો મૂકો તો એ રમકડા તરફ દોડશે.એમ સાધકની ભીતરની સ્થિતિ પર એ સદગુરુ પાસે માગે છે.
આજે સદગુરુ પાસે સંસાર માગનારા 99% લોકો આવે છે. પણ જેમણે પોતે સંસાર છોડીને ઈશ્વર તરફી યાત્રા કરી અને ઈશ્વર સાથે એકરૂપ બન્યા છે.એમની યાત્રા જોઈને પણ સાધક સમજતો નથી કે આપણે એમના જીવનના સારરૂપ સંસારને માગવાનો નથી.
સદગુરુ પાસે જે જેટલું અને જેવું માગે છે એટલું એને આપે છે.કારણ સદગુરુ કલ્પતરુ છે.પણ જે સાધક સદગુરુ પાસે કંઈપણ માગતો નથી."યથા યોગ્યમ્ તથા કુરુ"એવું કહે છે.મારા માટે યોગ્ય હોય એ કરો.ત્યારે સદગુરુ પોતાનું સ્વરૂપ એ સાધકને આપે છે.એ ઈશ્વર તત્વની ઓળખાણ અને પછી એ ઈશ્વર તત્વમાં એને એકરૂપ કરી દઈને એના આવાગમન ના ચક્કરને મિટાવી દઈ પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. પોતાનું સર્વસ્વ એને આપી દે છે.
રાજા એક ભિખારી પાસે આવીને કહે છે કે "ભાઈ કેમ ચિંતિત છે ? " માગ હું રાજા છું,તારે શું જોઈએ છે? ત્યારે ભિખારી કહે છે. "રાજાજી મારું ભિક્ષા પાત્ર ખોવાઈ ગયું છે.એ મને નવું લઈ આપો." આવી સ્થિતિ આપણી છે. ઈશ્વર સ્વરૂપ સદગુરુ મળ્યા પછી પણ આપણે એમની પાસે જે અનંત જન્મોથી ભોગવતા આવ્યા છીએ, છતાં કોઈ તૃપ્તિ નથી થઈ એવા સંસારને જ માગીએ છીએ.
મારા સદગુરુ પરમ પૂજ્ય શ્રી આનંદીમા વારે વારે કહે છે કે દીક્ષા પછી તમારી સ્થિતિ એક સામાન્ય કારકુનથી એક કંપનીના CEO જેવી બની જાય છે. ખીસામાં કરોડો રૂપિયાનો ચેક હોવા છતાં સાધક અહીં તહીં ભીખ માગતો ફરે છે.ત્યારે સદગુરુ લાચાર હોય છે. દીક્ષા પછી તો "करीष्ये वचनं तव ।" ગુરુ કહે એટલું કરવાનું હોય છે. સંપૂર્ણ શરણાગતિ..પણ આજે ગુરુ કરે છે બધા પણ ગુરુ કહે એ કોઈ કરતું નથી.." "આજ આને પૂછું..કાલ તેને પૂછું. જેમ કૂતરા હોય હડકાયા ." એવી સ્થિતિ હોય છે. વૃંદાવનના કોઈ સંતને મોબાઈલમાં સાંભળે તો "રાધા..રાધા" ચાલુ કરે..પછી હનુમાન અંશ પિક્ચર જોઈને આવે તો "સીતારામ.. સીતારામ" ચાલુ કરે. એમાં કોઈ બીજા સંતને સાંભળે તો "શિવાય નમઃસ્તુભ્યમ" ચાલુ કરે..પણ જે સદગુરુએ એમનો પ્રાણ નીચોવીને મંત્ર આપ્યો છે એને જીવન મંત્ર નહીં બનાવે.કારણ આવડી મોટી વસ્તુ સહજ અને મફતમાં મળી છે.આ માટે ગંગા સતી મંત્ર સમાન ભજનમાં કહે છે.
"ગુરુમુખી હોય તેને સંશય ન હોય,
નિરંતર ભજે શ્રી ભગવાન રે;
તન-મન-ધન જેણે ગુરુ ચરણે સોંપ્યાં,
રાખે સદાય અમી-રસ ધ્યાન રે...
મેરુ તો ડગે પણ જેના મનડાં ડગે નહીં.ભલે ભાગી પડે બ્રહ્માંડ રે.."
આ વિષયમાં લખવાનો અંત જ નથી.. અનંત શબ્દોમાં લખીએ તો પણ ખૂટે..અને જો ગુરુના શબ્દો પ્રમાણે જીવીએ, સાધના કરીએ તો એકપણ શબ્દની જરૂર નથી. એટલે ધ્યાનયોગીજી કહેતા " આવો, બેસો અને અનુભવો.."
અસ્તુ..
સૌને સાદર સપ્રેમ પ્રણામ સહ
ધીરેન્દ્ર ભટ્ટના
સીતારામ જય ગુરુદેવ 🙏